–(આકાશ)
ધનરાજ શેઠ નગરના જાણીતા વેપારી હતા અને કારોબાર જોરદાર ચાલતો હતો તેઓના ધર્મપત્ની મણિબહેન પણ ધર્મપારાયણ અને ધાર્મિક વૃત્તિના હતા.
તેઓને સંતાનમાં એક માત્ર પુત્ર હતો તેનો ખુબજ લાડકોડથી ઉછેર થયો અને પાંચ વર્ષની ઉંમરેજ તેને એક મોટી અંગેજી શાળામાં હોસ્ટેલમાં મૂકી દીધો.
પુત્ર મનીષ પોતાના માતાપિતાને છોડી જવા માંગતો ન હતો પણ પુત્ર ભવિષ્યમાં કોઈ મોટી હસ્તી બને અને યુરોપ સુધી વેપાર કરી નામ કમાય તેવી ઈચ્છા સાથે માતાપિતાએ પુત્રની ઈચ્છા વિરુદ્ધ તેને બોર્ડિંગમાં દાખલ કરી દીધો.
પુત્ર મનિષને અહીં સહેજપણ ગમતું ન હતું પણ હવે કોઈ રસ્તો ન હતો અને મન વગર તે ભણવા લાગ્યો અને પછી ત્યાંના વાતાવરણમાં ટેવાઈ ગયો,ધીરે ધીરે તેને આદત પડી ગઈ, બીજી તરફ
માતાપિતાને પણ પુત્ર ખુબજ યાદ આવતો પણ પુત્રના સારા ભવિષ્યની વિચારી પોતાની લાગણીઓ ઉપર કાબુ કર્યો.
હવે પુત્ર માત્ર વેકેશનમાં આવતો અને તે પણ બે ત્રણ દિવસ માટે બાકીના વેકેશનના દિવસોમાં તે પોતાના મિત્રો સાથે ટુર ઉપર નીકળી જતો હતો.
આમ,સમય નીકળી ગયો.
મનિષે હવે પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હવે તેને વતન આવવાનું થયું પણ તેને પોતાના ઘરમાં જરાપણ મન ન લાગ્યું તે પોતાના માતાપિતા સાથે પણ ખાસ વાત કરતો નહિ અને મિત્રો સાથેજ ફોન ઉપર બિઝી રહેતો હતો.
બીજી તરફ શેઠ ધનરાજ પણ ઉંમર થતાં ખાસ કામ કરી શકતા ન હતા અને નવા જમાનામાં મોલ તેમજ ઓન લાઈન ધંધો આવી જતાં તેઓની પેઢીને પણ મંદીનું ગ્રહણ લાગ્યુ.
હવે ખાસ આવક રહી નહિ પરિણામે નોકર ચાકર પણ છુટા કરી દીધા.
હવે ધનરાજ શેઠને પોતાના પુત્ર ઉપર આશા હતી કે ભણીગણીને તૈયાર થયેલો પુત્ર હવે નવા જમાના મુજબ મોટો ધંધો કરશે.
થોડી મૂડી બચાવી રાખી હતી તે રોકાણમાં કામ આવશે તેવું વિચારી હવે પુત્રના લગ્ન કરી શાંતિની જિંદગી જીવવી છે તેમ શેઠ-શેઠાણી વાતો કરવા લાગ્યા અને પુત્રને બોલાવીને આ અંગે વાત કરે છે.
બેટા હવે બધું તારે કરવાનું છે આ આપણી પૂર્વજોની હવેલી છે અને આટલી બચત છે તે તને સોપીએ છીએ અને હવે તારા લગ્ન કરી દઈએ અને તું ઈચ્છે તે ધંધો કરે અને અમે એય શાંતિથી પાછલા દિવસો તારી સાથે પસાર કરીએ તેવી અમારી ઈચ્છા છે.
માતાપિતાની વાત સાંભળી પુત્રએ માત્ર માથું હલાવ્યું અને ત્યારબાદ બધું પોતાના નામે કર્યા બાદ તેણે પોતાના માતાપિતાને કહી દીધું કે મારી પહેલેથી એક ગર્લફ્રેન્ડ છે અને અમે ખૂબ જલ્દી લગ્ન કરવાના છે સાથેજ અમે બન્ને યુકે સેટલ થવાના છે અહીં શુ ધંધો કરવાનો? અને હા તમને બન્ને ને કોઈ તકલીફ ન પડે તે માટે મે સરસ જગ્યા પણ જોઈ લીધી છે ત્યાં હવે આપણે જવાનું છે કાર બહાર ઉભી છે.
થોડીવારમાં કેટલાક માણસો આવે છે અને તેઓ પાસે કેટલાક કાગળો હોય છે તેની ઉપર મનીષ સહી કરી આપે છે ત્યારે ધનરાજ શેઠ પૂછ્યું કે બેટા આ બધા કોણ છે અને તે શેની સહી કરી?ત્યારે મનિષે ચોખવટ કરી કે પપ્પા આ જૂની હવેલીમાં હવે કોણ રહેશે?અમે બન્ને યુકે સેટલ થઈ જશું તમારા રહેવા માટે મે બીજી જગ્યા જોઈ લીધી છે તો આ હવેલી હવે શું કામની?તેથી વેચી દીધી છે.
શેઠ ધનરાજના પગ નીચેથી ધરતી સરકવા માંડી અને એટલુંજ બોલી શક્યા હે…! બેટા આપણા પૂર્વજોની શાન સમી આ હવેલી શુ કામ વેચી?
પણ પુત્ર ન માન્યો અને બોલ્યો ચાલો બહાર કાર ઊભી છે તમને બન્નેને જ્યાં રહેવાનું છે તે જગ્યા બતાવી દઉં !
શેઠ અને શેઠાણીએ ભારે હૈયે છેલ્લી વાર હવેલી ઉપર નજર નાખી અને પગ ભારે થઈ ગયા અને માંડ માંડ બહાર નીકળ્યા, બહાર દરવાજા ઉપર કાર ઉભી હતી તેમાં બેઠા અને કાર સડસડાટ નજીકના મોટા શહેરમાં પ્રવેશી અને એક મોટા ઈમારત પાસે આવીને અટકી ગઈ.
ગેટ ઉપર લખ્યું હતું પાનખર વૃદ્ધાશ્રમ.
બન્ને વડીલ બધુજ સમજી ગયા.
પુત્ર મનીષ અંદર આવ્યો અને ટ્રસ્ટીઓને કહ્યું કે હવે આ બંન્ને અહીજ રહેશે તેઓને સારો રહેવા માટે રૂમ, સવારે ટાઈમ સર નાસ્તો,બપોરે અને રાત્રે સમયસર ભોજન મળી રહે તે ધ્યાન રાખજો.
બંન્નેના પૈસા કાઉન્ટર ઉપર ભરી દીધા છે તેઓને કોઈ તકલીફ ન થવી જોઈએ તેમ કહી મનીષ પોતાના પપ્પાને અને મમ્મીને મળીને કહે છે કે જે રીતે હું પાંચ વર્ષનો હતો અને તમે મને આજ રીતે હોસ્ટેલમાં પૈસા ભરી છોડી ગયા હતા તેજ રીતે હું તમને હવે અહીં પૈસા ભરી છોડી રહ્યો છું અને પૈસા જોઈતા હોય તો મને કોલ કરજો હવે હું યુકે જતો રહીશ અને ત્યાંજ મારી ગર્લ ફ્રેન્ડ સાથે લગ્ન કરી લઈશ,તેમ કહી ત્યાંથી મનીષ નીકળી જાય છે.
શેઠ ધનરાજ પોતાના પત્ની મણિબહેનનો માત્ર સહારો રહી જાય છે જાણેકે બધુજ એકજ ઝાટકે છીનવાઈ ગયું અને પોતાના પુત્રને લાગણી કેમ ન રહી તે ઉપર વિચારવા લાગ્યા ત્યારે ખબર પડી કે તે દૂર રહ્યો તેથી લાગણી ન રહી અને પૈસા ભરી તેને સગવડ આપી તેજ સગવડ હવે તેણે પૈસા ભરી હવે આપણને આપી.
આમ,તેઓને ખુબજ પસ્તાવો થવા લાગ્યો અને અન્ય બુઝુર્ગ સાથે તેઓપણ પાછળની જિંદગી પસાર કરવા મન મનાવી દિવસો પસાર કરવા લાગ્યા !!