ફિલ્મ પ્રોડ્યુસર પ્રેરણા અરોડા ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ છે. મુંબઈ પોલીસે શનિવારે તેને ગિરફતાર કરી છે. તેના પર 16 કરોડ રૂપિયાના ફ્રોડનો આરોપ છે અને આ મામલે સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ સાથે જોડાયેલો છે. પ્રેરણા ક્રિઅર્ઝ એન્ટરટેઈન્મેન્ટ પ્રોડ્ક્શન હાઉસની ઓનર છે.
આ પ્રોડક્શન હાઉસ રૂસ્તમ, ટોઈલેટ, પેડમેન અને પરી જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી ચુક્યું છે. જ્યારે ક્રિઅર્ઝ એન્ટરટેઈન્મેન્ટએ ફિલ્મ કેદારનાથના રાઈટ્સ રોની સ્કૂવાલાને વેચી દીધા હતા, ત્યારે જૂન 2018એ ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર વાસુ ભગનાનીએ પ્રેરણા અને ક્રિ અર્ઝ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભગનાનીનો આરોપ છે કે ગેરકાયદેસર રીતે રોની સ્કૂવાલાને રાઈટ્સ વેચવાના કારણે તેમને 16 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.
ભગનાનીએ પ્રેરણા ઉપરાંત પ્રતિમા અરોડા અને અર્જુન કપૂર વિરૂદ્ધ મુંબઈમાં એફઆઈઆર નોંધાવી હતી. ભગનાનીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી નોંધાવી હતી. તેમણે કહ્યું કે પોલીસ તેમની ફરિયાદને ગંભીરતાથી નથી લઈ રહી. ત્યાર બાદ કોર્ટે મુંબઈ પોલીસ કમિશનરને આ નોટિસ મોકલી.