જ્યારે દેશમાં વેલેન્ટાઈન ડે પર પ્રેમના સંદેશાઓ મોકલવામાં આવી રહ્યાં હતાં ત્યારે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં એક આતંકીએ લોહીયાળો હોળી ખેલી હતી. જેમાં ભારત માતાના 40 રણબંકાઓ શહીદ થયા હતાં. આ ઘટના બાદ દેશ આખો શોકની લાગણીઓમાં ગરકાવ હતો. આતંકવાદના પોશક અને ભારતને અનેકવાર લોહીએ લુહાણ કરનારા પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાની દેશભરમાંથી માંગણી ઉઠી રહી છે. પરંતુ આ દુખની પળે પણ પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધએ એક એવું નિવેદન કર્યું છે જે ઉંડા ઘા પર મીઠું ભભરાવવાનું કામ કરે છે.
સિદ્ધુના આ નિવેદન બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિદ્ધૂને કપિલ શર્મના ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’માંથી હાંકી કાઢવાની માંગણી ઉઠી રહી છે. એટલું જ નહીં આ માંગણી એટલી આક્રમક બની છે કે, જો સિદ્ધુને હાંકી કાઢવામાં ના આવે તો આ શો નો જ બોયકોટ કરવાની ધમકી આપવામાં આવી રહી છે.
CRPFના જવાનો પરના ભયાનક હુમલા બાદ સિદ્ધુએ જણાવ્યું હતું કે, આ ખુબ જ દુખદ ઘટના છે. જે લોકોએ તેને અંજામ આપ્યો છે, તેમણે કાયરતાનો પરિચય આપ્યો છે. પણ વાતચીત દ્વારા જ સમસ્યાનું સ્થાઈ સમાધાન કાઢવું જોઈએ. સિદ્ધુએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, આપણે સંયમથી કામ લેવું જોઈએ. ભારતે પાકિસ્તાન સાથે વાતચીત દ્વારા જ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ