વડાપ્રધાન મોદીની બાયોપિકની જાહેરાત બાદથી જ ફિલ્મ અત્યંત ચર્ચામાં છે. જો કે હવે આ ફિલ્મના નિર્માતા મુશ્કેલીમાં સપડાઇ શકે છે. ચૂંટણી પંચે ફિલ્મને ચૂંટણી પહેલા રિલીઝ કરવાને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આવામાં ફિલ્મની રિલીઝને પાછળ લઇ જવા મામલે ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે.
દિલ્હીના મુખ્ય ચૂંટણી કાર્યાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની બાયોપિકના નિર્માતાઓના જવાબની રાહ જોવામાં આવી રહી છે. પૂર્વ દિલ્હીના ચૂંટણી અધિકારી મહેશે જણાવ્યું હતું કે, પીએમ મોદી ફિલ્મની જાહેરાત માટે પ્રોડક્શન હાઉસ, મ્યૂઝિક કંપની અને અન્ય બે સમાચાર પત્રોને 20 માર્ચે નોટિસ પાઠવવામાં આવી હતી.
ફિલ્મના જાહેરાતને આચાર સંહિતાના ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે. આવામાં દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી રણબીર સિંહે જણાવ્યું હતું કે, સંબંધિત પક્ષોને જવાબ આપવામાં માટે 30 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ ફિલ્મ 5 એપ્રિલે રિલીઝ થવા જઇ રહી છે. જો કે પહેલા આ ફિલ્મ 12 એપ્રિલે રિલીઝ થવાની હતી.
ઉલ્લેખનીય છે કે, સોમવારે કોંગ્રેસે ચૂંટણી પંચને અરજી કરી જણાવ્યું હતું કે, આ ફિલ્મને લીધે ભાજપને લાભ થઇ શકે છે. આ સાથે જ ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન પણ કરે છે. કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, આરપીએન સિંહ અને રણદીપ સુરજેવાલાએ ફિલ્મની રિલીઝ અટકાવવાની અરજી કરી હતી.