મુંબઈ : અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ પોલીસે પ્રારંભિક કાર્યવાહી કરી તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. તે પછી, પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ સુશાંતના મોતને આપઘાત ગણાવ્યો હતો. હવે પોલીસને સુશાંત કેસમાં અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે. તે રિપોર્ટમાં સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ સાથે જોડાયેલી ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવી છે.
અહેવાલ મુજબ, સુશાંતસિંહ રાજપૂતે ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી, તેથી તેમનું ગૂંગળામણને કારણે મોત થયું હતું. રાસાયણિક પરીક્ષા માટે અભિનેતાનું વિસરા પણ રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે અગાઉ પ્રોવિઝનલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પર ત્રણ ડોકટરો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જ્યારે અંતિમ રિપોર્ટમાં પાંચ ડોકટરો દ્વારા સહી કરવામાં આવી હતી. આ રિપોર્ટ તૈયાર કરતી વખતે ઘણી તપાસ કરવામાં આવી છે.
ગૂંગળામણના કારણે સુશાંતનું મોત
રિપોર્ટમાં એ પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે, સુશાંતના શરીરને કોઈ બાહ્ય ઈજા થઈ નથી. તેના નખ પણ ખૂબ સાફ હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતના મોતનું કારણ સુસાઇડ હોવાનું જણાવ્યું છે. રિપોર્ટમાં અભિનેતાના મોતનાં કારણો પર કોઈ પણ પ્રકારના સવાલો ઉભા થયા નથી.