અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અજૂબા’માં સંગીત આપી ચૂકેલા જાણીતા મ્યૂઝિક ડિરેક્ટર વનરાજ ભાટિયાની આર્થિક સ્થિતિ આજે ઘણી જ ખરાબ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 92 વર્ષીય વનરાજની તબિયત ઘણી જ ખરાબ છે અને તેમની પાસે પૈસા પણ નથી. તેઓ મુંબઈમાં નેપિયન સી રોડ પર આવેલા પોતાના ઘરમાં નોકરની સાથે રહે છે.
એક સમયના લોકપ્રિય સંગીતકાર આજે ગુમનામ
1. એકલા પડી ગયા
વધતી ઉંમરને કારણે વનરાજ એકલા પડી ગયા છે. હવે તેઓ પોતાના ઘરમાં પોતાના નોકર સુજીત કામતી સાથે એકલા રહે છે. સુજીત છેલ્લાં 10 વર્ષથી વનરાજનું ધ્યાન રાખે છે.
2. ગંભીર બીમારીની જાણ થઈ નથી
વનરાજને ઘણું જ ઓછું સંભળાય છે અને ઉંમરને કારણે તેમને કંઈ જ યાદ રહેતું નથી. રિપોર્ટ પ્રમાણે, તેમની પાસે મેડિકલ ચેકઅપ કરાવવાના પૈસા ના હોવાથી તેમને કોઈ ગંભીર બીમારી છે કે નહીં, તે ખ્યાલ નથી. જોકે, તેમને ઘુંટણમાં ઘણો જ દુખાવો રહે છે. જેને કારણે તે એક રૂમમાંથી બીજા રૂમમાં પણ જાતે જઈ શકતા નથી.
3. શું કહ્યું વનરાજે?
એક ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં વનરાજે કહ્યું હતું કે તેમની પાસે પૈસા નથી અને તેમના બેંક એકાઉન્ટમાં એક રૂપિયો પણ નથી. વનરાજના મિત્રો તથા ચાહકોએ તેમના મેડિકલ ખર્ચ માટે હવે ડોનેશન લેવાની શરૂઆત કરી છે. જોકે, આ અંગે વનરાજને કોઈ જ માહિતી નથી. જે ઘરમાં વનરાજ રહે છે, તેની દેખરેખ પણ ડોનેશનના પૈસાથી જ થઈ રહી છે. અલબત્ત, ડોનેશનમાં જેટલા રૂપિયા મળે છે, તે વનરાજનો ખર્ચ ઉઠાવવા માટે પૂરતા નથી. ઘરના ખર્ચને પહોંચી વળવા માટે તેમના ઘરની બ્રિટિશ સમયની ક્રોકરી વેચવા કાઢી છે.
4. પાલતુ બિલાડીના નિધન બાદ ગુમસુમ થઈ ગયા
એક કાર અકસ્માતમાં વનરાજની પાલતુ બિલાડી પેપ્સોનું નિધન થયું હતું. પોતાની પાલતુ બિલાડીનું અવસાન થતાં વનરાજ ઘણાં જ ઉદાસ થઈ ગયાં હતાં અને તેમની તબિયત પણ કથળી હતી. નોકરે ન્યૂઝ પેપર સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘બિલાડીના નિધન બાદ સર ઘણાં જ એકલા પડી ગયા છે. તેઓ ઘણીવાર ઊંઘમાં બિલાડીના નામની બૂમો પાડે છે.’ ઉલ્લેખનીય છે કે વનરાજે લગ્ન કર્યાં નથી અને તેમના બહેન કેનેડામાં રહે છે. મુંબઈમાં તેમના કેટલાંક સંબંધીઓ રહે છે.
5. એક સમયના જાણીતા સંગીતકાર
31 મે, 1927માં મુંબઈમાં જન્મેલા વનરાજે શ્યામ બેનેગલની ફિલ્મ્સ ‘તમસ’, ‘અંકુર’, ‘મંથન’, ‘ભૂમિકા’, ‘મંડી’ તથા ‘જુનૂન’માં સંગીત આપ્યું છે. જોકે, તેમણે પ્રાઈવેટ આલ્બમ્સ પણ આપ્યા છે. આ ઉપરાંત તેમણે અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘અજૂબા’ તથા નસરૂદ્દીન શાહની ‘જાને ભી દો યારો’ (1983)માં સંગીત આપ્યું હતું. આટલું જ નહીં લિરિસ સાબુની જાહેરખબર ‘લા…લાલાલા’ને વનરાજ ભાટિયાએ કમ્પોઝ કરી છે.
6. નેશનલ એવોર્ડ ને પદ્મશ્રીથી સન્માનિત
1988માં ફિલ્મ ‘તમસ’ના સંગીત માટે વનરાજ ભાટિયાને નેશનલ એવોર્ડ ફોર બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શન આપવામાં આવ્યો હતો. વર્ષ 2012માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.