ગાંધીનગર— અમદાવાદમાં આજે સવારે કમકમાટીભરી ઘટના બની છે જેમાં એક જ પરિવારના છ સભ્યોના આત્મહત્યામાં મોત થયાં છે. શહેરના વટવા સિત્રામાં પ્રયોસા રેસિડેન્સીમાં આવી ઘટના બની છે. આ વિસ્તારમાં અરેરાટીની લાગણી વ્યક્ત થઇ રહી છે. પોલીસ આ ઘટના અંગેની તપાસ કરી રહી છે.
આ ઘટનામાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે મામલે પોલીસને હજી કોઈ માહિતી મળી નથી. પોલીસને જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલથી જ બન્ને ભાઈઓનો પરિવાર ગુમ થયો હતો.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરના વટવામાં હાથીજણ સર્કલ પાસે પ્રયોસા રેસિડન્સીમાં બે ભાઈઓના પરિવારે સામૂહિત આત્મહત્યા કરી લીધી છે. મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના નામ મયુર, કિર્ત, ધ્રુવ અને સાનવી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં મળતી વધુ માહિતી પ્રમાણે બંને ભાઈઓ કાપડની દુકાનમાં નોકરી કરતા હતા. ફરવા લઇ જવાનું કહી બાળકોને લઇ ઘરેથી ભાઈઓ નીકળ્યા હતા અને વિંઝોલમાં ફ્લેટ પર આવી બાળકોની હત્યા કર્યા બાદ બંનેએ આપઘાત કરી લીધો હતો. આપઘાતના કારણ અંગે આર્થિક સંકડામણ અથવા પારિવારિક કારણ હોય શકે છે. વટવા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ સામૂહિક હત્યામાં 42 વર્ષના અમરીશ રમેશચંદ્ર પટેલ, 40 વર્ષના ગૌરાંગ રમેશચંદ્ર પટેલ, 12 વર્ષના મયુર અમરીશ પટેલ, 12 વર્ષના ધ્રુવ ગૌરાંગ પટેલ, 9 વર્ષના કિર્તી અમરીશ પટેલ અને 7 વર્ષની શાનવી ગૌરાંગ પટેલનો સમાવેશ થાય છે.