ગાંધીનગર – ગુજરાતમાં કોરોના સંક્રમણ સમયે એખ તબક્કે ઝીરો કેસ ધરાવતો ગાંધીનગર જિલ્લો ફરી એકવાર રેડઝોનમાં આવી ગયો છે. દિન પ્રતિદિન ચાર થી દસ કેસો નોંધાઇ રહ્યાં છે પરંતુ હકીકતમાં જિલ્લામાં સૌથી વધુ ખરાબ સ્થિતિ કલોલ તાલુકાની છે.
કલોલમાં આજે પણ 1155 લોકો હોમ ક્વોરેન્ટાઇન થયેલા છે. કલોલ તાલુકામાં 28થી વધુ પોઝિટીવ કેસ નોંધાયા છે. જિલ્લના બીજા તાલુકા માણસામાં માત્ર આઠ કેસ, ગાંધીનગર તાલુકામાં 50 કેસ અને દહેગામમાં 13 કેસ છે. જિલ્લામાં કુલ 53 લોકો સારવાર હેઠળ છે. 39 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લામાં કુલ 1885 લોકોને ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે જે પૈકી કલોલ તાલુકાની સંખ્યા વધારે છે.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારે ગાંધીનગરની હાલત બગાડી છે. સરપંચને જવાબદારી આપવા છતાં લોકડાઉનનો અસરકારક અમલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થયો નથી. ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ પણ કોરોના સંક્રમણથી મુક્ત નથી. એક ડોક્ટર તેમજ ખાનગી પ્રેક્ટિસ કરતાં એક ડોક્ટરને કોરોના પોઝિટીવ આવ્યો છે.
આ સાથે બે નર્સ પણ સંક્રમિત થઇ છે. અમદાવાદમાં ફરજ બજાવતા મેડીકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયાં છે. એવી જ રીતે ગાંધીનગર સિવિલમાં ફરજ બજાવતા અમદાવાદના ડોક્ટર, નર્સ અને એનેસ્થેશિયા વિભાગનો એક વ્યક્તિ કોરોના પોઝિટીવ થયો છે. ગાંધીનગર શહેરમાં સૌથી વધુ 13 કેસો એકમાત્ર સેક્ટર-24માં સામે આવ્યા છે. આ સેક્ટર સૌથી વધુ ભીડભાડથી ભરેલું છે તેથી કોરોના સંક્રમણ વધારે થતાં તેને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરવવામાં આવ્યું છે. ગાંધીનગર શહેરમાં માત્ર 26 કેસ એક્ટિવ છે. 33 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવેલું છે. 447 લોકો ક્વોરેન્ટાઇન છે અને માત્ર એક દર્દીનું મોત થયેલું છે. શહેરમાં કન્ફર્મ કેસની સંખ્યા 60 થવા જાય છે.