ગાંધીનગર — ગુજરાતના રાજકીય પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદને સિસ્ટર સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ બન્ને શહેરો વચ્ચેની કનેક્ટિવિટી અધુરી છે. હાલ એસટી બસ સાથે આ બન્ને સિટી જોડાયેલા છે ત્યારે પ્રાઇવેટ વાહનોની અવર-જવર સરળતાથી થઇ શકે તે માટે રાજ્ય સરકારે અમદાવાદના રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવવાનું નક્કી કર્યું છે.
અગાઉ કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ગાંધીનગરને અત્યાર સુધી તો મેટ્રોરેલ કે બીઆરટીએસ મળી નથી પરંતુ હવે અમદાવાદના રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રીજ સુધી લંબાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં ઇન્દીરા બ્રીજ થી ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધીના રિવરફ્રન્ટના બીજા તબક્કા માટે પણ સરકાર તૈયાર છે.
રાજ્યના શહેરી વિકાસ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે અમદાવાદની બીઆરટીએસ ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધી લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આ પ્રોજેક્ટ સાકાર થઇ શક્યો નથી. મેટ્રોરેલનો બીજો તબક્કો હજી સુધી શરૂ થઇ શક્યો નથી ત્યારે રિવરફ્રન્ટ માટે સરકારે તૈયારી બતાવી છે. ઇન્દિરા બ્રીજ સુધીનું બાંધકામ પૂર્ણ થયા પછી ગાંધીનગરના ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને લંબાવવાની કાર્યવાહી કરાશે.
આ ફ્રન્ટ લંબાવવામાં આવતા અમદાવાદ થી ગાંધીનગર વચ્ચેના વાહનોના ટ્રાફિકને વધારે સુવિધા મળશે. અત્યારે વાસણા થી વાડજ સુધી આવવું હોય તો વાહનચાલકો રિવરફ્રન્ટનો ઉપયોગ કરી રહ્યાં છે અને તે સુવિધાપૂર્ણ છે. હવે આંબેડકર બ્રીજ થી ઇન્દિરા બ્રીજ સુધીના રિવરફ્રન્ટના પ્લાનને મંજૂરી આપી દેવામાં આવી છે. આ નવો ટ્રેક વૃક્ષો અને લીલીતરીથી સભર હશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રિવરફ્રન્ટને વધુ 11.5 કિલોમીટર સુધી લંબાવવામાં આવી રહ્યો છે. આ ફ્રન્ટમાં ચિલ્ડન પ્લે એરિયા, ફુડ પ્લાઝા તેમજ બેઠક વ્યવસ્થા ઉભી કરાશે. આંબેડર બ્રીજ થી ઇન્દિરા બ્રીજ વચ્ચે સાબરમતી નદીની સમાંતર માર્ગ બનવાનો હોવાથી ગાંધીનગર જવા માગતા વાહનચાલકોને રાહત થશે.
આ રિવરફ્રન્ટને લંબાવવામાં આવતા કુલ 900 કરોડનો ખર્ચ થશે. અત્યારે હાઇડ્રોલીક સ્ટડી, પ્રિલિમિનરી સર્વે, જમીન સંપાદન અને ડિઝાઇનિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નદીની વચ્ચે ગ્રીન આઇલેન્ડ બનાવવાનું પણ પ્રયોજન છે. ઉલ્લેખનીય છે કે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગિફ્ટ સિટીના પ્રોજેક્ટની શરૂઆત કરી ત્યારે તેમણે ગાંધીનગરમાં રિવરફ્રન્ટ બનાવવાની પણ જાહેરાત કરી હતી પરંતુ બદનસીબે અત્યાર સુધી આ દિશામાં કોઇ કાર્યવાહી થઇ શકી નથી.