ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પટેલ-પાટીલ માટે એક ટેસ્ટ સમાન માનવામાં આવે છે. આ ચૂંટણીનાં પરિણામ ભાજપની આગળની રણનીતિ નક્કી કરશે. 3 ઓક્ટોબરના રોજ 56 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી પાંચ કેન્દ્ર પર મતગણતરી શરૂ કરવામાં આવશે. આ પાંચેય કેન્દ્ર પરથી મનપાના 11 વોર્ડની 44 બેઠકનાં પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. એ માટે ચૂંટણીતંત્ર દ્વારા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે.
કયા વોર્ડની ક્યાં મતગણતરી
વોર્ડ નંબર 1 (સેક્ટર – 25,26 અને રાંધેજા) તેમજ વોર્ડ નંબર 2 (જીઈબી કોલોની, આદિવાડા, ચરેડી, પેથાપુર) માટે સેકટર 15ની ગવર્નમેન્ટ સાયન્સ કોલેજમાં 40થી વધુ EVM મશીનમાં કેદ મતોની મતગણતરી કરાશે, જેમાં 70થી વધુનો સ્ટાફ રહેવાનો છે, જ્યારે વોર્ડ નંબર – 3(સેકટર – 24,27, 28) અને વોર્ડ નંબર – 4(સેકટર – 20, 29, જીઈબી છાપરા, પેથાપુર કસબો, પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકૂવા, લવારપુર/ શાહપુર ટીપી – 25)ની મતગણતરી સેકટર – 15 આઈઆઈટીઈમાં 48 EVMની મતગણતરી કરાશે.
એ જ રીતે વોર્ડ નંબર – 5(સેકટર – 9,10, 10A, 10B, 18,19, 20,21, 22,23, 29,30) અને વોર્ડ નંબર – 6(સેકટર – 11,12,13,14,15,16,17, ફતેપુરા, ગોકુળપુરા, વાવોલના કુબેરનગર, તળાવ પાસેના છાપરા) માટે સેકટર – 15 કોમર્સ કોલેજમાં 47 EVMની મતગણતરી કરવામાં આવશે. ઉપરાંત વોર્ડ નંબર – 7(કોલવડા, વાવોલ) અને વોર્ડ નંબર – 8(સેકટર 4,5,વાસણા હડ મતિયા, સરગાસણ, પોર, અંબાપુરના તારાપુર-ઉવારસદ ટીપી વિસ્તાર) માટે 54 EVMની મતગણતરી સેકટર – 15ની સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં યોજાશે. જ્યારે વોર્ડ નંબર – 9(સેકટર – 2,3,3 ન્યૂ ઈન્ફોસિટી, કુડાસણ) અને વોર્ડ નંબર – 10 (સેકટર – 1,6,7,8, રાંદેસણ , રાયસણ, કોબા, કુડાસણ ધોળાકૂવા ટીપી – 6) તેમજ વોર્ડ નંબર – 11( ખોરજ, ઝુંડાલ, અમિયાપુર, સુઘડ, નભોઈ, ભાટ, કોટેશ્વર) માટે સેકટર – 15 સરકારી કોલેજમાં 93 EVM મશીનની મતગણતરી કરવામાં આવશે.
રાજકીય પક્ષો પણ અસમંજસમાં
મનપાની અગાઉની બે ચૂંટણીમાં કોંગ્રેસ એક વખત જીતી ગઈ હતી તો બીજી વખત સત્તાની નજીક હતી, પરંતુ દરેક વખતે ભાજપ તડજોડની નીતિથી સત્તા પર બેસી ગઈ હતી. ત્યારે આજે સત્તાનું પુનરાવર્તન થાય છે કે પરિવર્તન એ અંગે રાજકીય પક્ષો પણ અસમંજસમાં છે, કારણ કે નવા સીમાંકનમાં નવાં 18 ગામ અને પેથાપુર નગરપાલિકા આવતાં નવા મતદારો ઉમેરાયા હતા. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ઝંપલાવતાં ત્રિપાંખિયો જંગ થઈ ગયો હતો, જેને પગલે આ વખતે પરિણામ અણધાર્યાં આવે એવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. ત્રીજી ઓક્ટોબરના રોજ મતદાનપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારથી સાંજ સુધી ચાલેલા રાજકીય ડ્રામા વચ્ચે સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. બાદમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે EVM મશીનોને સેકટર – 15 ખાતેના સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાયાં હતાં.
આજે મતગણતરી સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લા પોલીસવડાના સુપરવિઝનમાં 550થી વધુ પોલીસ જવાનો-અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, જેમાં 6 ડીવાયએસપી, 10 પીઆઇ, 31 પીએસઆઇ, 250 પોલીસ કોન્સ્ટેબલ, 120 મહિલા પોલીસ, 50 ટ્રાફિક-પોલીસ 500 પોલીસ જવાનોને સવારથી તહેનાત કરી દેવાયા હતા.
2011માં મનપાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના 18 અને ભાજપના 15 ઉમેદવારો વિજેતા થયા હતા. ગાંધીનગરના પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાએ ઓક્ટોબર-2012માં પેનલના બે સભ્યો સાથે પક્ષપલટો કરી સત્તા ભાજપના ખોળામાં આપી દીધી હતી. કોંગ્રેસના નેતાઓના પક્ષપલટાથી અનેક મતદારો કોંગ્રેસથી વિમુખ થઈ ગયા હતા, જેને પગલે 2016ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ બંનેને 16-16 બેઠક મળી હતી. એમાં ભાજપને કુલ 1,29,733 મત, જ્યારે કોંગ્રેસને 1,36,095 મત મળ્યા હતા, એટલે કે એ સમયે પણ કોંગ્રેસ તરફ જનતાનો ઝોક વધુ રહેતાં તેને 6362 મત વધુ મળ્યા હતા. જોકે પોતાના નેતાઓને સાચવી ન શકનારી કોંગ્રેસમાં ફરી પક્ષપલટો થયો હતો, જેમાં પ્રવીણ પટેલ પક્ષપલટો કરીને મેયર બની ગયા હતા અને ફરી સત્તા ભાજપના ખોળામાં જતી રહી હતી.