ગાંધીનગર — કોરોના મહામારીના સમયમાં ગાંધીનગરમાં એક વિચિત્ર કિસ્સો બન્યો છે. અભિષેક બચ્ચન અને રાની મુકરજી અભિનિત બંટી-બબલી જેવું એક કપલ રૂપિયા પડાવી રહ્યું છે. આ કપલ સરકારી નોકરી આપવાના નામે લોકોને છેતરી રહ્યું છે. કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે… ગાંધીનગરમાં લોભિયા છે અને ધુતારા પણ છે.
ગાંધીનગર શહેરના સેક્ટર-ર6માં રહેતા કોન્ટ્રાકટરની બે પુત્રી અને એક પુત્રને સરકારી નોકરી અપાવવાના બહાને દંપતિએ અલગ અલગ સમયે 4.05 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા અને ત્યારબાદ નોકરી અપાવી નહોતી. તેમની પાસેથી રૂપિયા પરત માંગતા જે થાય તે કરી લેવાની ધમકી તેઓએ આપી હતી. આ દંપતિ સામે સેક્ટર-ર1 પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે શહેરના સેક્ટર-ર6ના કિસાનનગર ખાતે પ્લોટ નં.ર13/2 ખાતે રહેતાં ઈશ્વરભાઈ હરજીવન પ્રજાપતિ લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે તેમના પરિવારમાં બે દીકરી અને એક દિકરો છે. 2014માં તેમની દીકરી અમદાવાદ ખાનગી મોબાઈલ કંપનીમાં કામ કરતી હતી ત્યારે તેનો સંપર્ક ત્યાં નોકરી કરતી રીન્કુ ઉર્ફે આરતી ભરત પટેલ સાથે થયો હતો.
સંપર્ક વધતાં આરતી અને તેમના પતિ ભરત સોમાભાઈ પટેલ અવાર નવાર તેમના ઘરે પણ આવતાં હતા. જે સમયે ભરતભાઈએ ઈશ્વરભાઈને તેમના ત્રણેય સંતાનોને અલગ અલગ વિભાગોમાં સરકારી નોકરી આપવાની લાલચ આપી હતી. જેમાં મોટી દીકરીને યુનિયન બેંકમાં, નાની દીકરીને પોસ્ટ ઓફીસમાં અને દિકરાને ઈસરોમાં નોકરી અપાવવાનું કહ્યું હતું.
નોકરીની સામે થોડા રૂપિયાનો વ્યવહાર કરવો પડશે તેમ પણ કહયું હતું. ર015થી અલગ અલગ સમયે આ પરિવારે દંપત્તિને રૂપિયા આપ્યા હતા. રૂપિયા આપ્યા પછી નોકરી માટે કહેવામાં આવતા તેઓ કહેતા હતા કે નોકરી મળી જશે, ચિંતા કરશો નહીં. આ પરિવારે તેમના જીવનની મૂડીના 1.05 કરોડ આ દંપત્તિને ચૂકવ્યા હતા. વધારે ઉઘરાણી થતાં આ દંપત્તિએ કહી દીધું હતું કે તમને તમારા રૂપિયા પાછા નહીં મળે, તમારાથી થાય તે કરી લેજો.છેવટે આ પરિવારે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકમાં આ દંપત્તિ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી દંપત્તિની શોધખોળ શરૂ કરી છે. પોલીસે 1.05 કરોડ રૂપિયાની ઠગાઇનો કેસ નોંધ્યો છે.