ગાંધીનગર શહેરના ઇન્ફોસિટીમાં દુકાન બહાર કચરાની ટોપલી મુકવા બાબતે દુકાનદાર અને સિક્યોરિટી ગાર્ડ સાથે બોલાચાલી બાબતે ઇન્ફોસિટી પોલીસ મથકનાં પોલીસ કોન્સ્ટેબલને ઘટનાની જાણ સ્થાનિક સિક્યોરિટી ગાર્ડે કરતા પોલીસ કોન્સ્ટેબલે શૂઝની દુકાન ધરાવતા યુવાન સાથે દાદાગીરી કરતા યુવાને ઘટનાની જાણ પોતાના પીએસઆઈ પિતાને કરી હતી. જેથી અમદાવાદનાં સરદારનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જનક બ્રહ્નભટ્ટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પીએસઆઈ એ સમગ્ર હકીકત સાંભળી મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યા હતા, પરંતુ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વહીવટદાર પોલીસ સિદ્ધરાજ સિંહે પીએસઆઇ બ્રહ્નભટ્ટ સાથે ઉદ્ધતાઈ કરી હતી.
આપને જણાવી દઈએ કે ઇન્ફોસિટીમાં અલગ અલગ બ્રાન્ડના શૂઝની દુકાન ધરાવતા યુવક અને સ્થાનિક સિક્યોરિટી ગાર્ડ વચ્ચે દુકાન આગળ કચરાની પોટલી નાખવા બાબતે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી સિક્યોરિટી ગાર્ડે પોતાના ઓળખીતા પોલીસ કોન્સ્ટેબલ કે જે વહીવટદાર પણ છે તેમને બોલાવી દુકાનદાર યુવકને દમ મરાવ્યો હતો. આ બાબતે દુકાન માલિક યુવકે પોતાના પિતા કે જે અમદાવાદનાં સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ છે, તેમને બોલાવી વાતનો સમાધાન કરવા પ્રયત્ન કર્યો હતો. ઘટનાની જાણ થતા પીએસઆઈ બ્રહ્મભટ્ટ અને તેમના પત્ની તાત્કાલિક ઇન્ફોસિટી પહોંચ્યા હતા અને સિક્યોરિટી ગાર્ડ અને વહીવટદાર પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજ સિંહને સમજાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. પરંતુ વહીવટદાર સિદ્ધરાજ સિંહે પીએસઆઈ સાથે માથાકૂટ કરી ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરતા મામલો બિચક્યો હતો અને જોત જોતામાં આજુબાજુના લોકો પણ ત્યાં ભેગા થઇ ગયા હતા.
ખાખીના નશામાં પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ ભાન ભૂલી પોતાના થી પોસ્ટના અધિકારી પીએસઆઈ બ્રહ્મભટ્ટ સાથે સાથે તેમની પત્ની સાથે પણ ગેરવર્તણૂક કરતા પીએસઆઇ એ પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરીયાદ કરવાનું નક્કી કર્યુ હતું. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ વહીવટદારની શાન ઠેકાણે આવી હતી અને બાદમાં ઓળખીતા અધિકારીઓના ફોન કરાવી પીએસઆઈ બ્રહ્નભટ્ટને ફરીયાદ નહી કરવા સમજાવ્યા હતા. જેથી અમુક અધિકારીઓ ના સમજાવટ થી પીએસઆઈ બ્રહ્મભટ્ટે ફરીયાદ કરી ન હતી પણ નફ્ફટ ગીરી ઉપર ઉતરેલા પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ પાસે થી માફીપત્ર લખાવી મામલો રફેદફે કર્યો હતો.
સમગ્ર ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલે પીએસઆઈ અને તેમના પરિવારના સભ્યો સાથે અણછાજતું વર્તન કરીને મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી પીએસઆઈ બ્રહ્મભટ્ટ ફરીયાદ કરવા ઇન્ફોસિટી પોલીસ મથક પહોંચ્યા હતા. પરંતુ અન્ય અધિકારીઓની સમજાવટ બાદ આખરે પીએસઆઈ એ ફરીયાદ કરવાનું ટાળ્યું હતું. એક તરફ પીએસઆઇ હોવા છતા શિસ્ત રાખી મામલાને શાંત પાડી પોલીસની આબરૂ ખરાબ ના થવા દીધું તો બીજીતરફ વહીવટદાર કે જે અમુક ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં રહેતા હોવાના કારણે કાયદો અને પોતાની ફરજ ભૂલી જઈ એક અધિકારી સાથે ગેરવર્તણૂક વર્તન કરતા જિલ્લા પોલીસ બેડામાં ચર્ચા જગાવી છે.