ગાંધીનગર — ગુજરાતના પાટનગર કે જ્યાંથી આખા ગુજરાતનો વહીવટ થાય છે ત્યાં સરકારે લોકડાઉનનું પાલન જ નહીં પણ શહેરને રીતસર તાળાં મારી દીધાં છે. શહેરમાં પ્રવેશવાના માર્ગો પર આડશો મૂકી પોલીસનો પહેરો વધારી દેવામાં આવ્યો છે. શહેર અને જિલ્લાને રેડઝોનમાં મૂકવામાં આવ્યા પછી સરકાર આકરા પાણીએ ગઇ છે. ગુજરાતમાં ગાંધીનગર શહેર અને જિલ્લો એવો હતો કે માત્ર 17 કેસ હતા અને બે મોત સાથે બાકીના દર્દીઓ સાજા થઇ જતાં ખુદ સરકારે આ જિલ્લાને કોરોના ફ્રી ડિસ્ટ્રીક્ટ તરીકે જાહેર કર્યું હતું.
ગાંધીનગરનો સમાવેશ ગ્રીનઝોનમાં કરવામાં આવ્યો હતો પરંતુ કર્મચારીઓની આવન-જાવનના કારણે ધીમે ધીમે કેસો વધતા ગયા છે. અમદાવાદના રેડઝોનમાંથી ડ્યુટી માટે કર્મચારીઓ ગાંધીનગર આવતા હતા તેમાંથી પોઝિટીવ કેસોનો આંકડો વધી ગયો છે. પહેલાં કર્મચારીઓને નોકરીએ આવવાની છૂટ આપી પછી કેસો વધતાં સરકારે છૂટ પાછી ખેંચી લીધી અને હવે સ્થિતિ એવી છે કે ગાંધીનગરને તાળાં મારી દેવામાં આવ્યા છે. અમદાવાદ અને અન્ય જિલ્લામાંથી આવતા માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સચિવાલય અને બીજી સરકારી કચેરીઓમાં અમદાવાદથી અપડાઉન કરતાં કર્મચારીઓની સંખ્યા 70 ટકા છે. જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યએ એવું નક્કી કર્યું છે કે જે કર્મચારીઓ ગાંધીનગર થી અમદાવાદ ફરજ માટે જઈ રહયા છે તેમના પણ રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવશે. એવી જ રીતે અમદાવાદથી ડ્યુટી પર આવતા અધિકારી તેમજ કર્મચારીઓને ટેસ્ટ પછી જ ગાંધીનગરમાં પ્રવેશ આપવામાં આવશે.
બીજી તરફ અમદાવાદથી ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતાં આવતાં કર્મચારીઓ, અધિકારીઓ માટે આસપાસની હોટલોમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં કોરોના વાઈરસનું સંક્રમણ 20મી એપ્રિલે અટકી ગયું હતું પરંતુ અમદાવાદ કનેકશનના કારણે ગાંધીનગરમાં ફરી કોરોનાના દર્દીઓએ દેખા દીધી હતી અને જિલ્લામાં અત્યારે 70થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. આવી સ્થિતિમાં આ વાઈરસના સંક્રમણને અટકાવવા માટે ગાંધીનગર જિલ્લામાં મોનીટરીંગ માટે મુકેલા અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને કોર્પોરેશન દ્વારા કડક નિયમો લેવામાં આવ્યા છે.
જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ કહયું હતું કે ગાંધીનગરના પ્રવેશ દ્વારો ઉપર 12 સ્થળોએ પોલીસની કોરોના ચેકપોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે જેમાં અમદાવાદ અને અન્ય શહેરોમાંથી ગાંધીનગરમાં બિનજરૂરી પ્રવેશ ઉપર નિયંત્રણ લાવી દેવામાં આવ્યું છે. શહેર અને જિલ્લામાં ફરજિયાત માસ્કની ઝુંબેશ સઘન કરી દેવામાં આવી છે. તો કોરોનાના સુપર સ્પ્રેડર એવા શાકભાજી, કરિયાણાના વેપારીઓના ટેસ્ટીંગ કરવામાં આવી રહયા છે. હાલ દરરોજ 200થી વધુ કેસ કરવામાં આવી રહયા છે.
ગાંધીનગર ખાતે ફરજ ઉપર આવતાં અમદાવાદ તથા આજુબાજુના આરોગય તેમજ પોલીસ કર્મચારીઓ માટે ખાનગી હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગરમાં રહેતા અને અમદાવાદમાં ફરજ બજાવવા જતાં કર્મચારીઓની અલગ યાદી બનાવીને તેમના સંભવિત ટેસ્ટીંગ કરવામાં આવશે. અન્ય બિમારીઓ માટે નાગરિકોને મુશ્કેલી ના પડે તે હેતુથી તબીબો સાથે પરામર્શ કરી ખાનગી દવાખાના શરૂ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.