ગાંધીનગર — કોરોના પોઝિટીવ દર્દીઓ સિવાયના અન્ય રોગના દર્દીઓ સારવાર લઇ શકે તે માટે રાજ્ય સરકારે ખાનગી દવાખાના અને હોસ્પિટલો ખોલવાની સૂચના આપ્યા પછી પણ જે ડોક્ટરો કે સંચાલકોએ તેમના દવાખાના બંધ રાખ્યા છે તેમને ગાંધીનગરમાં ચેતવણી મળી છે.
ગાંધીનગર મેયરે આ મામલે ડોકટર એસોસિયેશનને પત્ર લખી 48 કલાકમાં દવાખાના ખોલવા માટે તાકીદ કરી છે. કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને આ મામલે જરૂરી કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું છે. તબીબો દવાખાના નહીં ખોલે તો તેમની સામે પેન્ડેમિક એકટ મુજબ કાર્યવાહી પણ થઈ શકે છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર ચાલતી હોવાના કારણે શહેર તેમજ જિલ્લામાંથી લોકો સિવિલ હોસ્પિટલમાં દવા લેવા જતાં ખચકાઈ રહયા છે. તો નાની મોટી બિમારીઓમાં દવા લેવા માટે લોકો બહાર પણ નીકળી શકતા નથી, કેમકે ગાંધીનગર શહેરમાં ખાનગી દવાખાનાઓ પણ કોરોના વાઈરસથી સંક્રમણની ચિંતાને કારણે બંધ હાલતમાં છે.
તાજેતરમાં જ ગાંધીનગર જિલ્લા માટે નિમાયેલા સુપરવિઝન અધિકારી રાજીવ ગુપ્તાએ પણ તબીબો સાથે બેઠક કરીને દવાખાનાઓ ખોલવા સૂચના આપી હતી પરંતુ હજુ સુધી તેનું પાલન થયું નથી અને લોકોને દવા લેવા કયાં જવું તે પ્રશ્ન ઉદભવે છે. આ સંજોગોમાં ગાંધીનગરના મેયર રીટાબેન પટેલે ગાંધીનગર ડોકટર એસોસિયેશનને પત્ર લખીને 48 કલાકમાં ગાંધીનગરના ખાનગી દવાખાનાઓ ખોલવા માટે તાકીદ કરી છે જેથી લોકોને આરોગ્યલક્ષી પડતી મુશ્કેલી દુર કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનરે નિર્ણય લઈને ખાનગી તબીબોને દવાખાના ખોલવા તાકીદ કરી હતી નહીંતર તેમના લાયસન્સ રદ કરવા સુધીના પગલાં ભરવાની ચીમકી આપી 300 જેટલી નોટીસ ઇસ્યુ કરી હતી. હવે ગાંધીનગરમાં ડોક્ટરોને આવી નોટીસ મળી શકે છે.