વાપીમાં ક્યાંય પણ કોઈ મૃતદેહ રઝળતી હાલતમાં પડ્યો હોય તો તેને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે, સ્મશાનમાં અગ્નિસંસ્કાર માટે, કબ્રસ્તાનમાં દફનવિધિ માટે લઈ જવા સૌના મુખે એક જ નામ આવે છે કે ઇન્તેખાબ ખાન ને બોલાવી લો એ આવશે. રઝળતા મૃતદેહને અંતિમ ધામ સુધી પહોંચાડતા ઇન્તેખાબ ખાન છેલ્લા 37 વર્ષથી આ સેવા બજાવે છે.
વાપીમાં જમીયત ઉલમાં વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાન એક એવા સેવાભાવી છે. જેની સેવાને વાપીના દરેક ધર્મના લોકો સલામ કરે છે. 37 વર્ષ પહેલાં રેલવે સ્ટેશને અજાણ્યા મૃતદેહોને રઝળતા જોઈ માનવતા જાગી અને મદદ કરવાનું કાર્ય શરૂ કર્યું જે આજે પણ અવિરત છે. રમઝાન મહિનામાં ઇન્તેખાબ ખાનના રોઝા છે. પરંતુ તેમને પળવારનો આરામ નથી. રોઝાના દિવસોમાં પણ સેવા માટે સતત દોડતા રહે છે.
ક્યાં હિન્દૂ ક્યાં મુસલમાન સબસે પહેલે ઇન્સાન
છેલ્લા 37 વર્ષથી આ ખુદાનો બંદો કોઈપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના રલેવે સ્ટેશને ટ્રેનમાં કપાયેલ તેમજ માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા કે અન્ય કોઈ કારણથી મૃત્યુને ભેટેલા અજાણ્યા મૃતદેહોને તેમની ધાર્મિક વિધિ મુજબ અંતિમ મંજિલે પહોંચાડે છે. ઇન્તેખાબ ખાન કહે છે કે, ક્યાં હિન્દૂ ક્યાં મુસલમાન સબસે પહેલે ઇન્સાન એટલે ધાર્મિક ભેદભાવ વિના આ માનવતાની સેવા કરે છે.
રેલવેમાં છેલ્લા એક વર્ષમાં 97 લોકો મોતને ભેટ્યા
ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, રેલવેમાં છેલ્લા એક વર્ષમાં 97 લોકો મોતને ભેટ્યા, રોડ અકસ્માતમાં તેમજ અન્ય કારણથી મળીને અંદાજિત 102 લોકો મોતને ભેટ્યા, આમ કુલ 199 માંથી તેમણે અને તેમની સંસ્થાના સભ્યોએ 180 જેટલા અજાણ્યા મૃતદેહોને પોતાના ટ્રસ્ટની એમ્બ્યુલન્સ માં સૌ પ્રથમ સરકારી હોસ્પિટલમાં PM માટે લઈ ગયા છે. જ્યાં 3 દિવસમાં તેમના વાલી વારસ નહિ મળતા જે તે અજાણ્યા મૃતદેહને તેમની ધાર્મિક ક્રિયા મુજબ સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો છે. કબ્રસ્તાનમાં દફનાવ્યાં છે.
હેડફોન કેટલાક માટે બને છે મોતનું કારણે
રેલવે સ્ટેશન પર થતા અકસ્માત અંગે ઇન્તેખાબ ખાન જણાવે છે કે મોટે ભાગે વાપીમાં રેલવે સ્ટેશન નજીક ટ્રેક ખુલ્લો છે. જેના પરથી પસાર થતી વખતે કેટલાક યુવાનો કાનમાં હેડફોન લગાવી મોબાઈલ પર વાતોમાં કે ગીતો સાંભળવામાં મશગુલ હોય છે. જેથી ટ્રેન અડફેટે આવી મોતને ભેટી રહ્યા છે. કેટલાક પોતાના ઘરેલુ ઝઘડાના આવેશમાં આવી ટ્રેન સામે પડતું મૂકી દે છે. જે અંગે રલેવેએ અને સમાજે ચિંતા કરવી જોઈએ.
ઇન્તેખાબ માને છે કે, રેલવે દ્વારા ટ્રેક આસપાસ ફેંસિંગ કરવામાં આવે તો અકસ્માતનું પ્રમાણ ચોક્કસ ઘટી શકે છે. હાલમાં વાપીના રસ્તાઓ માટે રેલવે પર ઓવર બ્રિજ માટે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ભંડોળ ફાળવી નવીનીકરણ હાથ ધર્યું છે. જો સારા રસ્તા અને રેલવે ટ્રેક પર ROB કે અન્ડરપાસ બનશે તો તેનાથી પણ અકસ્માતનું પ્રમાણ અટકશે.
વતન સુધી પણ પહોંચાડે છે મૃતદેહો
ઇન્તેખાબ ખાનની આ સેવા માં વલસાડ જિલ્લાના દરેક ધર્મના લોકો પણ તેમને ઉદાર હાથે મદદ કરી રહ્યા છે. જેના સહકારથી તેઓ વાલી-વારસ ધરાવતા મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફતે વાપીથી છેક ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર કે અન્ય કોઈપણ રાજ્યમાં તેના વતન સુધી પહોંચાડવાની સેવા પૂરી પાડે છે.