વેરાવળ ખાતે આરોગ્ય વિભાગની વર્કશોપમાં ડૉક્ટરોને કાયદાકીય નિયમોની સમજ, ટેક્નોલોજીના જવાબદાર ઉપયોગ પર ભાર
ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વેરાવળના આસોપાલવ લૉન્સ ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ-૧૯૯૪ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંગે વિશેષ ઓરિયેન્ટેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રૉયે ટેક્નોલોજીના દુરુપયોગના જોખમો સામે ચેતવણી આપતા જણાવ્યું કે, આ કાયદાનું ચુસ્ત અમલીકરણ સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા અને જાતિ દરની સમાનતા જાળવવા માટે અનિવાર્ય છે. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય નવા નોંધાયેલા ડોક્ટરો અને પ્રેક્ટિશનર્સને કાયદાકીય જોગવાઈઓ અને નિયમોથી માહિતગાર કરવાનો હતો.
સગર્ભા મહિલાઓની સારસંભાળ અને માતા મરણ ઘટાડવા પર ભાર
વર્કશોપમાં નોડલ ઓફિસર એ.બી. ચૌધરીએ માતા મરણના પ્રમાણને શૂન્ય કરવા માટેના મહત્વના પગલાં સૂચવ્યા હતા. તેમણે તમામ આરોગ્ય સંસ્થાઓને સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ, ચોક્કસ ફોલોઅપ અને ડિલિવરી રજીસ્ટ્રેશનના ચુસ્ત પાલન માટે સૂચના આપી હતી. આ સાથે જ તપાસ દરમિયાન વહીવટી તંત્રને સહકાર આપવા અને જરૂરી રેકોર્ડ્સ નિભાવવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રયાસોનો હેતુ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા સુધારવા સાથે સુરક્ષિત માતૃત્વ સુનિશ્ચિત કરવાનો છે.
સોનોગ્રાફી મશીન અને રજીસ્ટ્રેશન પ્રક્રિયાની કાયદાકીય સમજ
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. વિપુલ દુમાતરે સોનોગ્રાફી મશીન ધરાવતી હોસ્પિટલોને લાગુ પડતી વિવિધ કલમો વિશે વિગતવાર છણાવટ કરી હતી. તેમણે ફોર્મ-એફ ભરવામાં રાખવાની તકેદારી, નવા મશીનની ખરીદી કે ઇન્સ્ટોલેશન બાદ ફોર્મ-બીમાં વિગતો ઉમેરવા અને યુઝર ડોક્ટરની નોંધણી જેવી પ્રક્રિયાઓ સમજાવી હતી. મશીનના ઉત્પાદકોથી લઈને ઉપયોગ કરનારા ડોક્ટરો સુધી તમામ માટે રજીસ્ટ્રેશન અને રિન્યૂઅલ ફરજિયાત છે, જેની ક્ષતિઓ નિવારવા માટે તજજ્ઞો દ્વારા ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા અને બેટી બચાવવાના શપથ
વર્કશોપના અંતે ઉપસ્થિત તમામ તબીબો અને આરોગ્ય કર્મચારીઓએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવાના સામૂહિક શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને સોશિયલ મીડિયાની તબીબી ક્ષેત્ર પર પડતી અસરો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાનું આરોગ્ય માળખું, સેક્સ રેશિયો અને કાયદાકીય પ્રક્રિયા વિશેના પ્રેઝન્ટેશન દ્વારા નવા તબીબોને પ્રેરિત કરવામાં આવ્યા હતા જેથી તેઓ નૈતિક મૂલ્યો સાથે પોતાની પ્રેક્ટિસ કરી શકે.
