ગુજરાતભરની નગરપાલિકાઓને વહીવટી મંજૂરી આપવાની સત્તા મર્યાદામાં 50 ટકાનો વધારો કરતી સરકાર
ગુજરાતભરની નગરપાલિકાઓને શહેરી વિકાસ વિભાગની યોજનાઓ તેમજ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના આયોજન પ્રભાગ હસ્તકની ગ્રાન્ટમાંથી નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવાના થતાં કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તા મર્યાદામાં 50 ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં 2005માં શહેરી વિકાસ વર્ષ ઉજવણીથી આયોજનબદ્ધ શહેરી વિકાસનો પાયો નાખ્યો હતો. શહેરી વિકાસની બે દાયકાની આ સફળતાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવીને શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણથી સ્માર્ટ એન્ડ સસ્ટેનેબલ સીટીઝ નિર્માણનું લક્ષ્ય રાખ્યું છે.
આ લક્ષ્યને સાકાર કરવા શહેરોમાં વિકાસ કામોમાં વધુ વેગ લાવીને શહેરી જન સુવિધાના કામો ઝડપથી હાથ ધરવા માટે નાણાંકીય સત્તા મર્યાદામાં કરવામાં આવેલો આ વધારો પરિણામકારી બનશે. મુખ્યમંત્રીએ આ હેતુસર ‘અ’ વર્ગની પાલિકાઓના વિકાસ કામો માટે નગરપાલિકા કક્ષા સમિતિ દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની હાલની નાણાંકીય મર્યાદા રૂ.50 લાખ છે તેમાં રૂ.20 લાખ વધારીને હવે રૂ.70 લાખ કરી છે.
એટલું જ નહીં, ‘બ’ વર્ગની પાલિકાઓ માટે 40થી વધારીને રૂ. 50 લાખ, ‘ક’ વર્ગ માટે 30થી વધારીને રૂ.40 લાખ, ‘ડ’ વર્ગ માટે 20થી વધારીને રૂ.30 લાખ સુધીના કામોની તાંત્રિક વહીવટી મંજૂરી આપવાની સત્તા સોંપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વહિવટી સરળીકરણની દિશામાં એક ઉદાહરણરૂપ પગલું લઈને એવું સુનિશ્ચિત કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે કે, નગરપાલિકા કક્ષાએ સમિતિ દ્વારા તાંત્રિક તેમજ વહિવટી મંજૂરી મળ્યેથી પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર આર.સી.એમ. ઓફિસ દ્વારા સંબંધિત નગરપાલિકાને દરખાસ્ત મળ્યાના પાંચ દિવસમાં ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. એટલું જ નહીં, આવી ગ્રાન્ટની બે હપ્તામાં 100 ટકા ફાળવણી કરાશે. આના પરિણામે નગરપાલિકા વિસ્તારોમાં વિકાસ કામો શરૂ કરવામાં વિલંબનું નિવારણ અને ગ્રાન્ટનો મહતમ સદુપયોગ થશે.