હવે કફ સીરપ કે દવા લેતા પહેલા બતાવવી પડશે ડૉક્ટરની ચિઠ્ઠી! કેન્દ્ર સરકારે કેમ લીધો આ મોટો નિર્ણય?
કેન્દ્ર સરકાર દ્વારા દવાઓના દુરુપયોગને રોકવા માટે સમયાંતરે અનેક કડક પગલાં લેવામાં આવ્યા છે. અગાઉ એન્ટિબાયોટિક્સના આડેધડ વપરાશ અને એન્ટિમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ (દવાઓ બેઅસર થવી) ને રોકવા માટે નિયમો કડક કરાયા હતા. ત્યારબાદ ઉધરસની કેટલીક સીરપ (Cough Syrups) ના વેચાણ પર નિયંત્રણો આવ્યા અને હવે સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે ડ્રગ્સ રૂલ્સ, ૧૯૪૫ (Drugs Rules, 1945) માં એક મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ સુધારા મુજબ, જે ઓરલ મેડિસિન (મોં દ્વારા લેવાતી દવાઓ કે સીરપ) માં ૧૨% કે તેથી વધુ ઇથાઇલ આલ્કોહોલ (Ethyl Alcohol) હોય અને તે ૩૦ મિલી કરતાં મોટી બોટલમાં વેચાતી હોય, તેને હવે શિડ્યુલ એચ૧ (Schedule H1) ની શ્રેણીમાં મૂકવામાં આવી છે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ આલ્કોહોલયુક્ત દવાઓના નશા કે અન્ય હેતુ માટે થતા દુરુપયોગને અટકાવવાનો અને તેના વેચાણ પર કડક નજર રાખવાનો છે.

શું છે આ ‘શિડ્યુલ એચ૧’ (Schedule H1)?
ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ, ૧૯૪૫ અંતર્ગત ‘શિડ્યુલ એચ૧’ એ એવી દવાઓની શ્રેણી છે જેના વેચાણ પર સરકાર ખૂબ જ કડક નિયંત્રણો રાખે છે. આ નિયમની શરૂઆત વર્ષ ૨૦૧૪માં કરવામાં આવી હતી. તે સમયે સત્તાવાળાઓના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલીક શક્તિશાળી એન્ટિબાયોટિક્સ અને વ્યસન લગાડી શકે તેવી દવાઓ (Habit-forming medicines) મેડિકલ સ્ટોર્સ પર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના જ ધૂમ વેચાઈ રહી હતી. આ આડેધડ વપરાશને કારણે લોકોના શરીરમાં એન્ટિબાયોટિક્સની અસર ઓછી થઈ રહી હતી અને દવાનો દુરુપયોગ વધતો હતો.
શરૂઆતમાં આ લિસ્ટમાં થર્ડ અને ફોર્થ જનરેશનની એન્ટિબાયોટિક્સ, ટીબી (Tuberculosis) ની દવાઓ અને કેટલીક માનસિક રોગોની (Psychotropic) દવાઓ સામેલ હતી. પરંતુ સમય જતાં જે દવાઓનું મોનિટરિંગ જરૂરી જણાયું, તેને આ યાદીમાં ઉમેરવામાં આવી. હવે નવો સુધારો કરીને ૧૨% થી વધુ આલ્કોહોલ ધરાવતી દવાઓને પણ આ દાયરામાં લાવી દેવાઈ છે.
અહીં એ સમજવું જરૂરી છે કે દવાઓમાં આલ્કોહોલનો ઉપયોગ ગેરકાયદેસર નથી. ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ દવામાં રહેલા સક્રિય તત્વોને ઓગળવા (Dissolve) માટે અને દવાની સ્થિરતા તેમજ તેની શેલ્ફ લાઈફ (ટકી રહેવાની ક્ષમતા) વધારવા માટે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવે છે. પરંતુ, જ્યારે આવી દવાઓ ડૉક્ટરની સલાહ વિના મોટી માત્રામાં પીવામાં આવે ત્યારે તે નશાનું માધ્યમ બની જાય છે. બસ, આ જ દુરુપયોગ અટકાવવા આ નવો કાયદો લવાયો છે.
શિડ્યુલ એચ૧ હેઠળ આવવાથી શું બદલાશે?
કોઈપણ દવા જ્યારે શિડ્યુલ એચ૧ કેટેગરીમાં આવી જાય છે, ત્યારે મેડિકલ સ્ટોર અને ગ્રાહક બંને માટે નિયમો સંપૂર્ણપણે બદલાઈ જાય છે:
-
પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત: આ દવાઓ હવે ‘ઓવર ધ કાઉન્ટર’ (OTC) એટલે કે મેડિકલ સ્ટોર પર જઈને સીધી માંગી શકાશે નહીં. તેને ખરીદવા માટે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (ડૉક્ટર) નું માન્ય પ્રિસ્ક્રિપ્શન હોવું અનિવાર્ય છે.
-
મર્યાદિત જથ્થો: ફાર્માસિસ્ટ (મેડિકલ સ્ટોર કીપર) ડૉક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં જેટલી માત્રા લખી હશે, તેટલી જ દવા આપી શકશે, તેનાથી એક ટીપું પણ વધારે નહીં.
-
ખાસ રજિસ્ટરમાં નોંધ: કેમિસ્ટોએ આ દવાઓના વેચાણનો એક અલગ રેકોર્ડ (રજિસ્ટર) રાખવો પડશે. જેમાં દર્દીનું નામ, ડૉક્ટરનું નામ અને વિગત, દવાનું નામ અને આપેલો જથ્થો આ બધું જ લખવું પડશે.
-
૩ વર્ષ સુધી રેકોર્ડની જાળવણી: આ રજિસ્ટરને મેડિકલ સ્ટોરે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી સાચવી રાખવું પડશે, જેથી ડ્રગ ઇન્સ્પેક્ટર ગમે ત્યારે આવીને તેની તપાસ કરી શકે.
-
ચેતવણીનું લેબલ: આ દવાઓના પેકિંગ કે બોટલ પર લાલ અક્ષરે સ્પષ્ટ ચેતવણી લખેલી હોવી જરૂરી છે કે, “આ દવા ડૉક્ટરની સલાહ વિના વેચવી ગુનો છે.”

શું દવાઓમાં આલ્કોહોલ હોવો સ્વાસ્થ્ય માટે જોખમી છે?
ના, બિલકુલ નહીં. દવામાં આલ્કોહોલની હાજરી માત્રથી તે અસુરક્ષિત બની જતી નથી. ઘણી ફોર્મ્યુલેશનમાં તે ખૂબ જ ઓછી અને સલામત માત્રામાં એક નિષ્ક્રિય ઘટક (Inactive ingredient) તરીકે વપરાય છે જેથી દવા યોગ્ય રીતે કામ કરી શકે.
મુશ્કેલી ત્યારે ઊભી થાય છે જ્યારે ઉચ્ચ માત્રામાં આલ્કોહોલ ધરાવતી દવાઓનો ઉપયોગ તબીબી સારવાર સિવાય અન્ય ખોટા કારણોસર, અથવા ડૉક્ટરે કહી હોય તેના કરતાં વધુ વાર કરવામાં આવે.
તબીબી જર્નલ ‘જર્નલ ઓફ મેડિકલ ટોક્સિકોલોજી’ ના એક રીવ્યુ રિપોર્ટ અનુસાર, જો કે મોટાભાગની દવાઓમાં ઇથેનોલ (આલ્કોહોલ) નું પ્રમાણ નહિવત હોય છે, પરંતુ કેટલીક ચોક્કસ દવાઓ એટલી માત્રામાં આલ્કોહોલ ધરાવે છે જે અમુક સંજોગોમાં લોહીમાં આલ્કોહોલનું સ્તર (Blood Alcohol Level) વધારી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો, લીવરની બીમારીથી પીડાતા દર્દીઓ અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (મગજ) ની દવાઓ લેતા લોકો પર આની વિપરીત અસર થઈ શકે છે. આથી જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ હંમેશા દવાઓના તાર્કિક અને નિયંત્રિત વપરાશની ભલામણ કરે છે.
સામાન્ય દર્દીઓ પર આની શું અસર થશે?
જો તમે સાચા દર્દી છો અને ડૉક્ટરની સલાહ મુજબ જ દવા લો છો, તો તમારા માટે આ નિયમથી કોઈ મોટો ફેર પડવાનો નથી. આ સુધારાનો અર્થ એ નથી કે સરકારે આ દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. દવાઓ બજારમાં મળતી જ રહેશે, બસ તેના વેચાણ પર ચોકીદારી કડક થઈ છે.
એક દર્દી તરીકે તમારે માત્ર એટલું ધ્યાન રાખવાનું રહેશે કે:
૧. જો ડૉક્ટરે આવી કોઈ ૧૨% થી વધુ આલ્કોહોલવાળી સિરપ લખી આપી હોય, તો ખરીદતી વખતે ડૉક્ટરની ઓરિજિનલ ચિઠ્ઠી (Prescription) સાથે રાખવી.
૨. કેમિસ્ટ તમારી વિગતો નોંધી લે તો તેમાં સહકાર આપવો, કારણ કે તે કાયદાકીય પ્રક્રિયા છે.
૩. ડૉક્ટરે જેટલા દિવસ અને જેટલા ચમચી દવા લેવાનું કહ્યું હોય એટલી જ લેવી, ક્યારેય પણ આ દવાઓ ઘરના અન્ય સભ્યો સાથે ડૉક્ટરની સલાહ વિના શેર ન કરવી.