ગુજરાત માં ઓવૈસી ની એન્ટ્રી થતા જ સૌથી વધુ નુકસાન કોંગ્રેસ ને થઈ રહ્યું હોવાની વાત સપાટી ઉપર આવી રહી છે અને તેના ઉદાહરણ માં
અરવલ્લી મોડાસા ટાઉન માં કોંગ્રેસ ને બાય બાય કરી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રાજબાબુ ઓવૈસી ની પાર્ટી AIMIMમાં જોડાઇ ગયા છે.
તેઓ બે ટર્મથી કોંગ્રેસમાં કોર્પોરેટર તરીકે રહી ચૂક્યા છે અને હવે 200 કાર્યકરો AIMIMમાં જોડાઇ ગયા છે.
રાજબાબુ અને 200 કાર્યકરોએ ઓવૈસી ની પાર્ટી માં જોઈન થતા પહેલા કોંગ્રેસના હાય હાયના નારા પણ લગાવ્યા હતા.
સ્થાનિક સ્વરાજય અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી સાથે અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટી અને છોટુ વસાવાની બીટીપીએ ગુજરાતમાં ગઠબંધન સાથે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે ઓવૈસી ની પાર્ટી ને ભારે સમર્થન મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓવૈસી ની એન્ટ્રી સમયે જ મોડાસામાં કોંગ્રેસના 500થી વધુ કાર્યકરો AIMIMમાં જોડાતા કોંગ્રેસ ના પાયા હલી ગયા હતા. આમ મુસલમાનો ની બહુમતિ વાળા વિસ્તારોમાં ઓવૈસી છવાઈ ગયા છે મોડાસા,ભરૂચ અને અમદાવાદ માં પણ ઓવૈસી ને ભારે સમર્થન મળી ચૂક્યું છે.
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે AIMIM પાર્ટીએ 6માંથી 4 વોર્ડમાં પેનલ ઊભી રાખી છે, જ્યારે દરિયાપુર અને ખાડિયામાં અનુક્રમે 3 અને 2 ઉમેદવારો જ ઊભા કર્યા છે.
ઓવૈસીની પાર્ટીએ જમાલપુર, ખાડીયા, દરિયાપુર, ગોમતીપુર, બહેરામપુરા અને મકતમપુરા વોર્ડથી પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જમાલપુર બેઠકથી પૂર્વ કોર્પોરેટરો મોહંમદ રફીક શેખ અને મુસ્તાક ખાદીવાલાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે ગોમતીપુરના પૂર્વ કોર્પોરેટર આફરીન બાનુ પઠાણને પણ ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય ગોમતીપુર વોર્ડથી સૂફિયાન રાજપૂત અને ખાડીયાથી એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. AIMIM પાર્ટીએ જમાલપુર વોર્ડમાંથી બીનાબહેન પરમાર અને બહેરામપુરા વોર્ડથી પારુલ મકવાણાને ટિકિટ આપી છે.
આમ ઓવૈસી ની પાર્ટી એ કોંગ્રેસ ના ગઢ માં ગાબડા પડવાની શરૂઆત કરી દીધી છે.