આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને પર્યાવરણ માટે જાગૃતિ લાવવા અનેક જાહેરાત કરવામાં આવી રહી છે તેમજ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે સ્કૂલોમાં બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે જોકે,આ બધા વચ્ચે નવાઈની વાતતો એ છે કે કેટલાક કિસ્સામાં પર્યાવરણ માટે જાગૃતિ લાવવા જાહેરાતો આપતી કેટલીક કંપનીઓ જ કેમિકલ નું ઝેર ઓકે છે ત્યારે ગુજરાત પોલ્યુશન ડિપાર્ટમેન્ટ આરામ કરે છે એક તરફ મોટી મોટી જાહેરાતો નાખી એમ બતાવવા માંગે છે કે અમે પર્યાવરણ બહુ ખ્યાલ રાખીએ છીએ અને બીજી તરફ પર્યાવરણને જે રીતે નુકસાન થઈ રહ્યું છે તે આપણી આંખોની સામે છે.
કોરોના વખતે બધાએ જોયું કે ઓક્સિજનના અભાવે અનેક લોકો મોતને ભેટયા તેવે સમયે કુદરતી ઓક્સિજન આપતા વૃક્ષો યાદ આવ્યા બીજી વાત એ કે દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે તેમાંય વૃક્ષો ઓછા થતાં આ દિવસો આવ્યા છે આમ તાપમાન ઓછું કરવાથી માંડી વરસાદ લાવવા,ઓક્સિજન માટે તેમજ પશુ પક્ષીના જતન માટે વૃક્ષો વરદાન રૂપ છે.
કેટલીક કંપનીઓ દ્વારા કાયદાનું વારંવાર ઉલ્લંઘન કરી પર્યાવરણ અને જીવસૃષ્ટિને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને આવી કંપનીઓ સામે સરકારે ગંભીરતા દાખવી કડક પગલા ભરવા જોઈએ તેવી માંગ વર્ષોથી છે.
પ્રદુષણથી પણ પર્યાવરણ પ્રભાવિત થાય છે અને માત્ર વૃક્ષોનું નિકંદન જ નહીં પણ જળ-વાયુ, પશુ,પક્ષીઓના મોત વગરે પણ સામેલ છે.
વર્ષમાં પ્રદૂષણના કારણે 6.7 મિલિયન ( 1 મિલિયન એટલે 10 લાખ) લોકોના મોત થાય છે, WHO મુજબ હવાનું પ્રદૂષણ ધીમું ઝેર છે અને તેમાં હજારો લોકોના જીવ જાય છે. પ્રદૂષણના ધીમા ઝેરના કારણે વર્ષે 7 મિલિયન લોકોના અકાળે મોત થાય છે. પ્રદૂષિત હવા શ્વાસમાં જવાથી ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહેલો છે. જેમાં હૃદય સંબંધિત બીમારીઓની સાથે શ્વાસને લગતી, સ્ટ્રોક અને કેન્સર પણ પ્રદૂષણના કારણે થતી ગંભીર બીમારીઓ છે.
વિશ્વના ઘણા દેશ પ્રદૂષણના વધારાને કારણે થતી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ આપણા દેશમાં પણ પ્રદૂષણનું સ્તર ખૂબ જ ઊંચું માપવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ આપણા દેશમાં લગભગ 140 મિલિયન લોકો હવામાં શ્વાસ લે છે. જે WHO દ્વારા નિર્ધારિત સલામત મર્યાદા કરતા દસ ગણી વધારે છે. આનું પરિણામ એ છે કે, સામાન્ય લોકોમાં માત્ર કેન્સર જ નહીં પરંતુ અન્ય અનેક પ્રકારની બીમારીઓ પણ સતત વધી રહી છે.
આજના દિવસે માત્ર જાહેરાત આપવાથી કાંઈ નહિ થાય પણ પ્રદુષણ ઘટાડવા કે બંધ કરવા પ્રદુષણ ફેલાવતા એકમોએ પોતેજ જવાબદારી સ્વીકારી આગળ આવવું પડશે.
હવા, પાણી અને જમીનમાં વધી રહેલા પ્રદૂષણ અને પર્યાવરણ પર તેની અસર વિશે લોકોને જાગૃત કરવા, તેનાથી બચવા અને વધુ પડતા પ્રદૂષણને કારણે વધતી જતી સમસ્યાઓના નિરાકરણ માટે સામુહિક પ્રયાસ જ યોગ્ય પરિણામ લાવી શકશે.