આપણા પ્રાચીન ગ્રંથોમાં શ્રાદ્ધનું ખુબજ મહત્વ રહેલું છે અને દર વર્ષે ભાદરવા મહિનામાં આવતા શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નાખવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
ગામડાઓ કે પોળમાં અગાઉ યજમાનો પોતાના ઘરે શ્રાદ્ધ હોય ત્યારે મકાનની છત પર કાગવાસ નાખતા હતા, પરંતુ હવે કાગડાઓ મકાન કે બિલ્ડિંગના ટેરેસ ઉપર આવતા નથી.
તેના કારણમાં કાગડાઓની સંખ્યા ઓછી થઈ ગઈ હોવાનું સામે આવી રહ્યું છે.
હવે યજમાનોને શ્રાદ્ધમાં કાગડા જે વિસ્તારમાં વધુ હોય ત્યાં કાગવાસ મૂકવા જવું પડે છે જેમકે તળાવ કાંઠે આવેલા મંદિર નજીક અથવા વધારે મોટા વૃક્ષો હોય તેવા સ્થળે એમ
લોકો અલગ-અલગ સ્થળો પર જાય છે. વડોદરામાં લાલબાગ રેલવે સ્ટાફ ક્વાર્ટર, નાગરવાડા-બહુચરાજી રોડ વિશ્વામિત્રી બ્રિજ, ઉમેટા બ્રિજ સહિતની જગ્યા પર કાગવાસ નાખતા લોકો જોવા મળી રહ્યા છે. જે લોકો કાગવાસ પોતાની અગાસીઓ પર મૂકતા હોય છે, જ્યાં કાગડાઓ પહોંચતા નથી અને લોકોને પૂર્વજો સુધી ભોજન પહોચ્યું ન હોવાનો વસવસો રહેતો હોય છે. જેથી હવે કાગડાઓ જે વિસ્તારમાં સૌથી વધુ દેખાતા હોય છે ત્યાં જઈને કાગવાસ મૂકવા જઈ રહ્યા છે
સામાન્ય રીતે શ્રાદ્ધમાં લોકો ખીર, દૂધપાક સહિત દૂધની વિવિધ વાનગીની વાસ નાખતા હોય છે. જ્યારે હવે લોકો કાગવાસમાં પૂરી-ખીર સાથે સોફ્ટડ્રિંક્સ, મીઠાઈ સહિતની વસ્તુઓ પણ મૂકી રહ્યા છે.