રાજ્યમાં આવી રહેલી આગામી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે કોંગી નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે વધુ ચાર ધારાસભ્ય ભાજપમાં જોડાવા થનગની રહ્યા છે જેઓ આગામી તા.11 ઓક્ટોબર ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકોટના જામકંડોરણામાં આયોજિત જાહેરસભામાં ભાજપમાં જોડાઇ જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આગામી તા.11ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રાજકોટના જામકંડોરણામાં યોજાનારી જાહેરસભામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ઉપલેટા-ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, વિસાવદરના હર્ષદ રિબડિયા, રાજુલાના અંબરીશ ડેર અને જામકંડોરણાના ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ છે.
હાર્દિક પટેલના ભાજપમાં જોડાયા બાદ ઉપરોક્ત ધારાસભ્યોનું ભાજપમાં જોડાવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું હતું.
કોંગ્રેસે આગામી ચૂંટણીમાં તમામ ધારાસભ્યોને રિપીટ કરવાની જાહેરાત કરી દીધી છે અને તે મુજબ ઉપરોક્ત ચારેયની પણ કોંગ્રેસમાંથી ટિકિટ પાકી ગણવામાં આવી રહી છે અને ગણતરીના દિવસોમાં તેમની ટિકિટની વિધિવત જાહેરાત થાય તેવા નિર્દેશો મળી રહ્યાં છે.
કોંગ્રેસના ચારેય ધારાસભ્યની ટિકિટ જાહેર થાય તે સાથે જ ભાજપ મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે, આગામી તા.11ના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામકંડોરણા આવી રહ્યાં છે અને વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે તે જાહેરસભામાં જ કોંગ્રેસના ઉપરોક્ત ચારેય ધારાસભ્ય ભાજપમાં જોડાઇ જશે તેવું ભાજપના વર્તુળોએ જણાવ્યું હતું.