ગાંધીનગરઃ ચક્રવાત તાઉતે એ ગુજરાતમાં ભારે તબાહી મચાવી છે. ગઇકાલ સોમવારે મોડી રાત્રે ચક્રવાત ગુજરાતમાં ત્રાટક્યુ હતુ અને હવે આગળ વધી રહ્યુ છે. ચક્રવાતના લીધે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના છેવાડાના બનાસકાંઠા સુધીના 450 કિલોમીટરના પટ્ટા પરથી પસાર થનારૂં વાવાઝોડું આસપાસના 100 કિલોમીટરના ઘેરાવામાં અસર કરનાર છે. વાવાઝોડાનું કેન્દ્રબિંદુ એટલે કે ‘આઈ’ 30 કિલોમીટર આસપાસનો ઘેરાવો ધરાવે છે.
આઈ આસપાસનો કિલોમીટરનો વિસ્તાર મળી કુલ 40 કિ.મી.ના વિસ્તારમાં અત્યંત જોખમી સ્થિતિ સર્જાવાની છે. જ્યારે, 50 અને 100 કિ.મી.ના બફર ઝોન દર્શાવીને સરકારી તંત્રએ વાવાઝોડાથી થનારી જાન-માલની નુકસાની સામે કાર્યવાહી કરવાના આયોજન કર્યાં છે. વાવાઝોડાંની તિવ્રતાના આધારે તંત્રની કામગીરી કેટલી સફળ રહેશે એ તો આવનારાં 48 કલાકમાં જ ખબર પડશે.
અરબી સમુદ્રમાં ઉદ્દભવેલું તાઉ-તે વાવાઝોડું સોમવારે રાતે 10 વાગ્યા પછી દિવથી જમીન પર પૂર્ણ રૂપે પ્રવેશ્યું હતું. જો કે, અંદાજે 30થી 40 કિલોમીટરનું કેન્દ્રબિંદુ એટલે કે આઈ ધરાવતાં વાવાઝોડાના કારણે ઉના અને દિવ વિસ્તારમાં રાતે આઠ વાગ્યાથી જ 100 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવો શરૂ થઈ ગયો હતો. સોમવારે રાતે આઠ વાગ્યાથી સૌરાષ્ટ્રના સાગરકાંઠે વાવાઝોડાનો કરન્ટ શરૂ થયો છે.
બુધવારે આ વિસ્તારોમાં મચાવશે તબાહી
વાવાઝોડું ગિર સોમનાથ જિલ્લાથી ગુજરાતમાં પ્રવેશ્યા પછી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર ઉપરાંત અમુક અંશે ભરૂચ, અમદાવાદ અને આણંદ જિલ્લામાં અસર કરી બનાસકાંઠા થઈને બુધવારે રાજસ્થાનમાં પ્રવેશી જશે. જો કે, સૌરાષ્ટ્રથી શરૂ કરી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તબાહી મચાવીને વાવાઝોડું રાજસ્થાનમાં પ્રવેશશે ત્યારે ખાસ્સુ હળવું બની ચૂક્યું હશે.
ગંભીર બાબત એ છે કે, 30થી 40 કિલોમીટરનું કેન્દ્રબિંદુ ધરાવતા વાવાઝોડાની અસર આસપાસના 100 કિલોમીટર વિસ્તારમાં થશે. દિવથી પ્રવેશેલું વાવાઝોડું સોમવારે રાતે આઠ વાગ્યાથી બુધવાર બપોર સુધીમાં બનાસકાંઠાને વટાવશે. વાવાઝોડું ગુજરાતમાં અંદાજે 450 કિલોમીટરના પટ્ટામાંથી પસાર થશે. વાવાઝોડાની અસરનો ઘેરાવો 100 કિલોમીટર જેટલો રહેશે. તંત્રને સાવચેત કરવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી સરળ બનાવવા ગુજરાત સરકારે બાયસેગની મદદ લઈને મેપિંગ કર્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે, વાવાઝોડાની આઈ એટલે કે કેન્દ્રબિંદુ આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં મહત્તમ તબાહી થઈ શકે છે. સરકારે તૈયાર કરાવેલા મેપમાં વાવાઝોડાથી આઈ-લાઈનને રેડ-બ્રાઉન રંગથી દર્શાવવામાં આવી છે. મહત્તમ તબાહીની અસર પામનારાં 10 કિ.મી. ગ્રીન લાઈનથી દર્શાવવામાં આવ્યો છે.