ગુજરાતની સરકારી શાળામાં ચાલતા પ્રવેશોત્સવ વખતે જ્યારે આઈએએસ અધિકારીઓ મુલાકાતે ગયા ત્યારે જે શિક્ષણનું સ્તર જોયું તેનાથી તેઓ અચંબિત થઈ ઉઠ્યા.
રાજ્યના ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગના સચિવ ડો. ધવલ પટેલે પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખી તેઓનું ધ્યાન દોરતા જણાવ્યુ છે કે, દરેક શાળામાં ધોરણ બેથી આઠમાં અભ્યાસ કરતા બાળકોની વાર્ષિક કસોટીનાં પ્રશ્નપત્ર અને બાળકોને પૂછેલા પ્રશ્નો બાદ મને લાગ્યું કે શિક્ષણનું સ્તર ખાડે ગયું છે.
તેમણે લખ્યું કે, ધોરણ 8માં ભણતી એક વિદ્યાર્થિનીને તો ભારતના નકશામાં હિમાલય કે ગુજરાત કઈ બાજુ આવેલું છે એ પણ ખબર ન હતી.
જ્યારે ધોરણ 8 ના વિધાર્થી એક આંકના સરવાળા પણ વેઢાથી ગણતા જોવા મળ્યા હતા તેઓ પાસે પાયાનું જ્ઞાન પણ પૂરતું ન હતું.
જ્યારે ધો 5ના વિદ્યાર્થીઓ સરળ વદીવાળી બાદબાકી ગણી શકતા ન હતા.
બીજી ચોંકાવનારી વાત એ કે વિદ્યાર્થીઓએ વાર્ષિક પ્રશ્નપત્રની જવાબવહીમાં લીંબુ સરબત બનાવવાની આખી રીત અંગ્રેજીમાં લખી હતી.
અંગ્રેજીમાં આપેલી સૂચના વાંચવામાં પણ વિદ્યાર્થીઓ અસમર્થ હતાં.
પ્રશ્ન ન સમજ્યા છતાં જવાબ કેવી રીતે લખી શકે! તે બાબતે આપશે તો અનુમાન જ કરી શકીયે કે શિક્ષકોએ જ પ્રત્યુત્તર લખાવ્યા હોવા જોઈએ.
ધોરણ 4ની એક બાળકીને 15+14 કરવા કહ્યું તો ગણવાને બદલે તે રડવા લાગી હતી.
જ્યારે અન્ય એક વિદ્યાર્થીને પણ બે આંકનો સરવાળો કર્યો તો તે પણ ખોટો જવાબ લાવ્યો હતો.
છોટા ઉદેપુર વિસ્તારમાં ધવલ પટેલે ગત 13 અને 14 એપ્રિલ દરમિયાન 6 શાળાની લીધેલી મુલાકાત દરમિયાન 6 પૈકી પાંચ પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર અત્યંત કથળેલું હોવાનુ જણાતાં તેમણે એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, 6 માંથી 5 શાળામાં કથળેલું શિક્ષકોનું સ્તર જોઇ મારા હ્રદયને અવર્ણનીય ગ્લાનિ થઈ. આ ગરીબ આદિવાસી બાળકો પાસે શિક્ષણ માટે અન્ય કોઇ વિકલ્પ નથી ત્યારે આ પ્રકારનું શિક્ષણ આપી તેમની સાથે અન્યાય થઈ રહયાનું લાગતા તેઓએ પ્રાથમિક શિક્ષણ સચિવને પત્ર લખી તેઓનું ધ્યાન દોરતા આખો મામલો સામે આવ્યો છે.