અમદાવાદઃ ગુજરાતમાં ફરી કોરોના સંક્રમણના દૈનિક નવા કેસ કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. ગુજરાતમાં આજે 14 મે, 2021 શુક્રવારના રોજ 10990 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જે 18 એપ્રિલ, 2021 પછીના સૌથી ઓછા દૈનિક નવા કોરોના કેસ છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 7,35,348 લાખ થઇ ગઇ છે.
આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત 15365 દર્દીઓ સાજા થયા છે જે નવો રેકોર્ડ છે. આમ આજે ગુજરાતમાં કોરોના સંક્રમિત નવા દર્દી કરતા સાજા થનાર દર્દીઓની સંખ્યા વધારે રહી છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 6,09,031 લાખે પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 82.82 ટકાના સ્તરે પહોંચ્યો છે.
ઉલ્લેખનિય છે કે, આજે ગુજરાતમાં કોરોનાથી 104 દર્દીઓના મોત થયા છે. આ સાથે સત્તાવાર રીતે ગુજરાતમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 8944 પહોંચી ગયો છે.
રાજ્યમાં હાલ કોરોના સંક્રમિત નવા કેસોની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી રહી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 117373 થઇ છે અને જેમાંથી હાલમાં 786 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
ગુજરાતમાં આજે કુલ 33,050 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ છે. રસીકરણના ત્રીજા તબકકામાં ગુજરાતમાં આજે માત્ર 18થી 44 વર્ષ સુધીના 33,050 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મૂકવામાં આવ્યો છે.
આમ ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1,47,51,911 કોરોના રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.