ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યુ છે સાથે-સાથે દર્દીઓના મોતની સંખ્યા પણ અત્યંત ઓછી થઇ ગઇ છે. ઉપરાંત રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ પુરજોશમાં ચાલી રહ્યુ છે અનો મોટી સંખ્યામાં કોરોના વોરિયર્સ- આરોગ્ય કર્મીઓને રસી મૂકવામાં આવી હતી.
ગુજરાતમાં આજે 27મી જાન્યુઆરીના રોજ 353 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 2,60,220 પહોંચી
ગઇ છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોનાના નવા પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તેની સાથે સાથે એક્ટિવ કેસોની સંખ્યા પણ ઘટી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણથી માત્ર 1 દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં આજે અમદાવાદમાં 1 કોરોના સંક્રમિત દર્દીના મોત થયા છે. આજના નવા મરણ સાથે અત્યાર સુધીમાં કાળમુખો કોરોના વાયરસ રાજ્યમાં કુલ 4382 લોકોને ભરખી ગયો છે.
તો બીજી બાજુ આજે કોરોના સંક્રમિત 462 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોના વાયરસથી મુક્ત થયેલા લોકોની સંખ્યા 2,51,862 પહોંચી ગઇ છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 96.79 ટકાના સ્તરે પહોંચ્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણના નવા કેસોની સંખ્યા ઘટતા એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા આજે ઘટીને 3,976 થઇ ગઇ છે, જેમાંથી હાલમાં 43 દર્દીઓની સ્થિતિ ગંભીર હોવાના કારણે તેમને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ઘણા દિવસથી કોરોના ટેસ્ટિંગના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી.
ગુજરાતમાં રસીકરણ અભિયાન
ગુજરાત સહિત દેશમાં 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં સૌથી પહેલા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓ, ડોક્ટરો, હેલ્થ વર્કરોને કોરોના રસી મૂકવામાં આવી છે. આજે 27મી જાન્યુઆરીની રોજ રાજ્યમાં 33 રસીકરણ કેન્દ્રો પર 3,787 કોરોના વોરિયર્સને રસી મૂકવામાં આવી છે. 16 જાન્યુઆરીથી આજ દિન સુધીમાં ગુજરાતમાં કુલ 95,909 હેલ્થ વર્કર્સને કોરોનાની વેક્સીન મૂકવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના વેક્સીન મૂકાયા બાદ કોઇને આડઅસર કે ગંભીર સમસ્યા થઇ હોય તેવી એક પણ ઘટના બની નથી.