અમદાવાદઃ ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે, ગુજરાત હાઈકોર્ટે લોકડાઉનને લઇને રાજ્ય સરકારને ટકોર કરી છે. ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 3280 કેસ નોંધાયા છે. તો બીજી બાજુ 2167 દર્દીઓ સાજા થયા છે. એટલે કે, અત્યાર સુધીમાં કુલ 3,02,932 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 93.24 ટકાએ પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 70,38,445 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 8,47,185 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થઇ ચૂક્યું છે. આમ કુલ 78,85,630 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધારે વયના અને 45-60 વર્ષનાં કુલ 2,75,777 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 29,886 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 17,348 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 171 લોકો વેન્ટિલેટર પર છે અને 17,177 લોકો સ્ટેબલ છે. 3,02,932 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4598 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 17 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશન 2 અને વડોદરામાં 1 લોકોનાં મોત નિપજ્યાં છે. આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે જેને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને આગામી 3 કે 4 દિવસ લોકડાઉન લગાવવાના નિર્દેશ કર્યો છે. રાજ્યમાં દિવસે ને દિવસે સ્થિતિ વણસી રહી છે જેનું હાઇકોર્ટે અવલોકન કર્યુ છે.રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્ફોટક બની રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ રોજ નવા રેકોર્ડ તોડી રહ્યાં છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિત હોવાનું અવલોકન કર્યું છે. આ ઉપરાંત રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવાનો પણ આદેશ કર્યો છે.