ગુજરાતમાં વાવાઝોડું તેમજ ભારે વરસાદ પડવાની અગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે.
રાજ્યમાં વાવાઝોડું ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે,આગામી તા. 12 થી 14 જૂન સુધીમાં ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાતા વાવાઝોડુ ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
આગામી તા.7 જૂને લક્ષદ્રીપ પાસે હવાનું હળવું દબાણ વાવાઝોડામાં પરિવર્તિત થશે અને આ વાવાઝોડાની દિશા શરૂઆતમાં મુંબઈ અને રત્નાગીરી તરફ રહેશે અને 13 જૂનની આસપાસ વાવાઝોડું ગુજરાતના
દરિયા કિનારાની નજીક આવશે જેથી તા.13 જૂનથી તા. 14 જૂન સુધી ગુજરાતનાં દરિયાકિનારે વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે.
જો,વાવાઝોડું છેલ્લે તેની દિશા બદલે તો તે પાકિસ્તાનના કરાંચી તરફ ફંટાઈ જઈ શકે છે.
બીજી તરફ વાવાઝોડાની અસર હેઠળ આગામી તા.12,13 અને 14 જૂને સૌરાષ્ટ્ર અને દરિયા કિનારા વિસ્તારમાં ભારે વરસાદ થવાની અને દરિયા કિનારે 50 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2021માં ગુજરાત પર અતિ-ભીષણ વાવાઝોડું તૌકતે ત્રાટક્યું હતું. મે મહિનાના મધ્યમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા આ વાવાઝોડાએ ગુજરાતમાં ભારે વિનાશ વેર્યો હતો. તૌકતે વાવાઝોડામાં પવનની ગતિ પ્રતિ કલાકના 220 કિલોમિટર સુધી પહોંચી હતી.