ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે.
જેમાં આગામી 24 જુલાઈએ ગુજરાતની 3 બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે.
રાજ્યસભામાં દિનેશ અનાવાડિયા, જુગલજી ઠાકોર અને એસ. જયશંકરની ટર્મ પૂરી થઈ રહી છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું પ્રસિદ્ધ થશે.13 જુલાઈએ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.14 જુલાઈએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. 24 જુલાઈએ સવારે 9થી સાંજના 4 સુધી મતદાન થશે અને સાંજે 5 વાગ્યાથી મતગણતરી યોજાશે.
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આગામી ઓગસ્ટ મહિનામાં વિદેશ મંત્રી એસ.જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોય આ ત્રણ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ત્રણ બેઠકો પર ભાજપ પ્રતિનિધિત્વ કરશે. કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું હોવાથી 3 બેઠક ફરી ભાજપના ફાળે જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
મહત્વનું છે કે આગામી તા. 24 જુલાઇએ ગોવા, ગુજરાત, બંગાળ સહિત 10 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.