ગાંધીનગર : ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોનાનો કહેર અટકવાનું નામ લઇ રહ્યો નથી. આ સાથે જ એક પછી એક આફતો પણ ભારત દેશ પર મંડરાઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં 22મી મેના રોજ ત્રાટકેલા ‘અમ્ફાન’ વાવાઝોડાનો રેલો હજુ સુકાયો નથી ત્યાં આ તરફ હવે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્યમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 27થી 31મે દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં આંધી – વંટોળની આવી શકે છે. આ સાથે જ 1 થી 7 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની પણ શક્યતા છે. આ વાવાઝોડામાં 25થી 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આટલું ઓછું હોય તેમ 7 જૂને દરિયો તોફાની બનશે અને 13 થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં વરસાદ આવવાની સ્થિતિ સર્જાઈ શકે છે અને 8 થી 15 જૂન દરમિયાન દરિયા કિનારાના ભાગોમાં અચાનક પવન ફૂંકાશે.
હવામાન શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં 27 થી 31મે વચ્ચે ધૂળની ડમરીઓ ઉડશે. ગુજરાતમાં કઈ તારીખે ક્યાં અને ક્યારથી ચોમાસાની શરૂઆત થશે તે અંગે હવામાનના નિષ્ણાંતે જણાવ્યું કે, ચોમાસાની શરૂઆત દરિયાકિનારાના વિસ્તારથી થશે. વંટોળ અને વાવાઝોડું ગુજરાતમાં વરસાદ લાવશે.
આગાહી મુજબ 1 જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે. પરંતુ તે ગુજરાત પર ત્રાટકશે કે કેમ તે આગળની સાયક્લોનીકની મુવમેવન્ટ પરથી જાણી શકાશે. કારણ કે, વાવાઝોડું ઓમાન તરફ ફંટાશે તો ગુજરાત પર આફત આવશે નહીં. હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં નવી સાયક્લોન પેટર્ન સર્જાઇ રહી છે. અરબી સમુદ્રમાં દક્ષિણ-પૂર્વમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના પગલે લો પ્રેશર સર્જાઇ શકે છે. લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઇને 3 જૂન સુધી ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા પણ સર્જાઈ રહી છે. વાવાઝોડું જૂનના પ્રથમ સપ્તાહમાં કોઇ પણ સમયે પશ્ચિમ ભારતના રાજ્યોમાં ત્રાટકી શકે છે.