સુરત મનપામાં આમ આદમી પાર્ટીના એક સમયે 27 કોર્પોરેટર હતા અને ભાજપ સામે વિપક્ષની ભૂમિકામાં હતા તેઓ ટોપી પહેરીને બૂમ પડાવતા હતા પણ હવે ચિત્ર બદલાઈ ગયું છે અને માત્ર 17 રહ્યા છે,વાત એવી પણ ચર્ચામાં આવી છે કે આ 17માંથી બીજા 6 પણ ભાજપમાં જવાની તૈયારીમાં છે, બીજી તરફ એવી પણ ચર્ચા છે કે ભાજપ દિવાળી પહેલાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યને પણ ખેંચી શકે છે.
સુરત મહાનગરપાલિકાની ચૂંટણી 2021માં થઈ હતી. 26 વર્ષ પછી સુરત કોંગ્રેસમુક્ત બન્યું હતું. સુરતમાં 30 વોર્ડની 120 બેઠકમાં ભાજપે 93 બેઠક તો આપએ 27 બેઠક પર કબજો મેળવ્યો હતો. વરાછા વિસ્તારની 27 બેઠક આપના જીતવા પાછળ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીને લઇ પાસ સાથે કરવામાં આવેલો અન્યાય, તક્ષશીલાકાંડ, મોંઘવારી સહિતનાં ફેકટરો કામ કરી ગયાં હોવાનું કહેવાય છે.
કોંગ્રેસનાં સૂંપડાં સાફ થઇ જતાં સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેઠી હતી પણ આજે સ્થિતિ પલટાઈ ગઈ છે.
રાજકારણમાં ચાલતી ચર્ચા મુજબ ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી વિપક્ષોને ક્લીન બોલ્ડ કરવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કમર તોડી નાખ્યા બાદ હવે આમ આદમી પાર્ટીને પણ સાફ કરવા રણનીતિ ભાજપે શરૂ કરી હોવાની વાતો ચર્ચાનો વિષય બની છે.