ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે શહેરા અને ગોધરા તાલુકામાં નલ સે જલ યોજનામાં મોટેપાયે ભ્રષ્ટાચાર આચારવામાં આવ્યો હોવાની મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે, તેઓએ વિજિલન્સ તપાસ કરવા માટે લેખિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવાયુ છે કે પંચમહાલ જિલ્લામાં બાંધકામ અને ગુજરાત પાણીપુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ નિગમના કાર્યપાલક ઈજનેર એમ.એમ.મેવાડા દ્વારા પાણીપુરવઠા યોજનાનાં કામોમાં હલકી ગુણવત્તાનાં કામો કરાવી મોટે પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેમજ હાલમાં ઉનાળાની સીઝનમાં પીવાના પાણીનાં તળ ઊંડાં જવાને કારણે સરકારમાંથી ટેન્કર મારફત પાણી આપવા કલેકટરની પાણી સમિતિની બેઠકમાં ઠરાવ કરાવ્યો છે. એનો બે માસ જેટલો સમય વીતવા છતાં કાર્યપાલક ઈજનેર એમ. એમ. મેવાડા દ્વારા પંચમહાલ જિલ્લામાં ફક્ત 12 જેટલાં ગામોમાં જ પીવાના પાણીનાં ટેન્કર શરૂ કરવામાં આવ્યા છે પણ જિલ્લાનાં ઘણાં બધાં ગામોએ પીવાના પાણીનાં ટેન્કર શરૂ કરવા માટે માગણી કરી છે છતાં શરૂ થયા નથી.
જેથી નલ સે જલ યોજનાના અધિકારીઓ તથા જૂથ પાણીપુરવઠા અધિકારીઓ એમ. એમ. મેવાડા વિરુદ્ધ ACB (લાંચ-રુશ્વતવિરોધી બ્યૂરો)ની રાહે તેમની મિલકતો સહિતની તપાસ કરવા માંગ કરી છે.
બીજું કે શહેરા તાલુકામાં ત્રણ હજાર જેટલા હેડ પંપ લેખિતમાં મંજૂર કરાવી એની ભલામણ પણ કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓની ભ્રષ્ટ નીતિને કારણે આજદિન સુધી હેન્ડ પંપ પણ મંજૂર કરવામાં આવ્યા નથી, જેથી આવા અધિકારીઓ સામે ACB રાહે તપાસ કરવા અને પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા માટે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે લેખિતમાં રજૂઆત કરી મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદ કરતા મામલો ગરમાયો છે.