ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે સૌથી પહેલા વિદેશ મંત્રી એસ.જયશંકરનું નામ જાહેર થયા બાદ ભાજપે આજે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે.
જેમાં વાંકાનેર સ્ટેટના રાજવી કેસરીસિંહ ઝાલા અને રબારી સમાજના અગ્રણી અને પૂર્વ MLA બાબુ દેસાઈના નામો ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.
આજે બન્ને ઉમેદવાર આજે 2 વાગ્યે ગુજરાત વિધાનસભામાં ઉમેદવારીપત્ર ભરશે.
મહત્વનું છે કે, આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે.
આ બન્ને ઉમેદવારની વાત કરવામાં આવેતો કેસરીદેવસિંહ વાંકાનેર સ્ટેટના રાજવી અને ભાજપના નેતા છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ કેસરીદેવસિંહની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી.
કેસરીદેવસિંહને 2011માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો.
કેસરીદેવસિંહે 2014, 2019 લોકસભા ચૂંટણીમાં ચૂંટણી લક્ષી જોગવાઈઓની જવાબદારી પણ સંભાળી હતી. 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈન્ચાર્જની જવાબદારી સંભાળી હતી. તેઓ રાજકોટ જિલ્લા ઉપપ્રમુખ અને મોરબી જિલ્લા પ્રમુખ રહ્યા છે. રાજકીય ઉપરાંત સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પણ અનેક પ્રવૃતિઓ સાથે તેઓ સંકળાયેલા છે. કેસરીદેવસિંહ અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના યુવા પાંખના પ્રમુખ છે
તમામ જ્ઞાતિના ધાર્મિક કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે. વાંકાનેર સ્ટેટના રાજવી દિગ્વિજયસિંહનું નિધન થતા તેમના પુત્ર કેસરીદેવસિંહનું માર્ચ 2022માં રાજતિલક કરાયું હતું.
જ્યારે બાબુ દેસાઇ 2007માં બનાસકાંઠાની કાંકરેજ બેઠકથી ધારાસભ્ય બન્યા હતા.
2012થી ગુજરાત પ્રદેશ ભાજપના ગૌ સંવર્ધન સેલના કન્વીનર રહ્યા હતા. દ્વારકા સહિત રાજ્યભરની અનેક ધાર્મિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે. અનેક સમૂહલગ્ન અને ધાર્મિક કાર્યક્રમના દાતા છે. ઊંઝા પાસે મકતુપુરની અનેક સંસ્થાઓમાં મહત્વનું યોગદાન આપ્યું છે. 10 જેટલી સેવાભાવી અને ધાર્મિક સંસ્થાઓમાં ટ્રસ્ટી છે.