ગુજરાતમાં ગોધરા રમખાણો સબંધી ચાલતા કેસમાં પુરાવાના અભાવે 35 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
વિગતો અનુસાર ટ્રાયલ કોર્ટે 2002 પછીના ગોધરા રમખાણો સંબંધિત ચાર કેસમાં 35 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટના મતે, આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવા નહોતા અને આરોપીઓ કેટલાક સ્યુડો-સેક્યુલર મીડિયા અને રાજકારણીઓના પ્રચારનો ભોગ બન્યા હતા.
આ એવા આરોપીઓ છે કે તેમાં ડૉક્ટરો, પ્રોફેસરો, શિક્ષકો અને બિઝનેસમેનનો સમાવેશ થાય છે. પંચમહાલ જિલ્લાની હાલોલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ હર્ષ બાલકૃષ્ણ ત્રિવેદીની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી હતી.
20 વર્ષ પહેલા જ્યારે ટ્રાયલ શરૂ થઈ ત્યારે 52 લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. તેમાંથી 17ના મોત થઈ ચૂક્યા છે પરિણામે તે પૈકી હવે માત્ર 35 આરોપીઓ જ બચ્યા હતા, જેઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે
ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ બાદ તા.28 ફેબ્રુઆરી 2002ના રોજ દેરોલ ગામ, કલોલ બસ સ્ટોપ અને ડેરોલ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. આ કેસમાં 52 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેના પર ઘાતક હથિયાર વડે ત્રણ લોકોની હત્યા કરવાનો આરોપ હતો. આ પછી, મૃતદેહ અને તમામ પુરાવાઓને બાળી નાખવામાં આવ્યા હતા
આ કેસમાં પોલીસે કોર્ટને ત્રણ ગુમ વ્યક્તિઓ વિશે જણાવ્યું હતું. રમખાણો બાદ તેઓ રાહત શિબિરોમાં રહેતા હતા.
ટ્રાયલ દરમિયાન કુલ 130 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા, પરંતુ આરોપીઓ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા પરિણામે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.