અમદાવાદઃ તાઉ’તે વાવાઝોડાના ધમાકેદાર કહેરની શરૂઆત થઇ ગઇ છે ત્યારે તેની અસર હવે ઠેર-ઠેર જોવા મળી રહી છે. તાઉ-તે વાવાઝોડાના કારણે ચારે બાજુ ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે તો ક્યાંક ભારે પવન પણ ફુંકાવા લાગ્યો છે. આવી સ્થિતિમાં વાત કરીએ તાઉ-તે વાવાઝોડાની તો તાઉ-તે વાવાઝોડું દીવથી માત્ર 80 કિમીના અંતરે જ દૂર છે. એટલે કે રાત્રિના 11 વાગ્યા સુધીમાં તાઉ-તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી દીધી છે.
તાઉ-તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાતા લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. વાવાઝોડાના પગલે 4 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. દરિયાઇ વિસ્તારોમાં ઘાતક પવન ફૂંકાવાનો શરૂ થઇ ગયો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયા હોવાના અહેવાલ સામે આવ્યાં છે.
હવમાન વિભાગના જણાવ્યાં મુજબ, આગામી 3 કલાકમાં જ વાવાઝોડું ગુજરાતના 5 જિલ્લાઓમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા પર ત્રાટકશે. એ સમયે વાવાઝોડાની સ્પીડ 175 કિ.મી. પ્રતિ કલાકની આસપાસ હોઇ શકે છે. અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.
જૂનાગઢના માંગરોળ નજીક ચોરવાડના દરિયામાં વાવાઝોડાની અસરના કારણે દરિયામાં 15 ફુટના મોજા ઉછળ્યાં તો અહીં NDRF ની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે.