અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડની અસર જોવા મળી છે. વાવાઝોડું બપોરના 12 વાગ્યા પછી અમદાવાદ જિલ્લાને સ્પર્શી શકે છે. જેથી અમદાવાદના વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. તાઉ-તે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં મોટી તારાજી સર્જાઈ છે. તાઉ-તેએ સૌરાષ્ટ્રને ધમરોળતા મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો બીજી તરફ કેરીના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ખેડૂતોની ચિંતા પણ વધી છે. ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓના નિચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. અમદાવાદ જિલ્લાના ધોળકા અને ધંધૂકામાં ભારે વરસાદ પડી રહ્યો છે.તૌક-તે વાવાઝોડા ને લઈ એએમસી તંત્ર સજ્જ બન્યું છે. બે થી ત્રણ કલાકમાં અમદાવાદમાં આ વાવાઝોડું ટકરાશે. સાબરમતી નદીનું લેવલ ઓછું કરાયું છે. વાસણા બેરેજના 2 દરવાજા ખોલાયા છે. સરકારે 20 અને 23 નંબરના દરવાજા ખોલ્યા. 133 માંથી 130 ફૂટ કરવાની આપવામાં આવી સૂચના અપાઈ છે.
ચક્રવાત હવે અમદાવાદ તરફ
સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ તાઉ-તે વાવાઝોડું અમદાવાદ જિલ્લા તરફ આગળ વધી રહ્યુ છે. તેની અસર ધંધુકા અને ધોલેરામાં વર્તાઈ રહી છે. ધંધુકામાં 60થી 90 કિમી અને ધોલેરામાં 60થી 100ની ગતિ એ પવન ફૂંકાઈ છે. વાવાઝોડું વિરમગામ તરફ આગળ વધશે. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઈ છે. અત્યાર સુધીમાં 4 હજાર 500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા ચે. જેમના કોરોના ટેસ્ટ પણ કરાયા છે. જિલ્લા વહીવટી તંત્ર તમામ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યુ છે. આ સાથે જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને બીનજરૂરી બહાર ન નિકળવાની અપીલ કરવામાં આવી છે.
વહેલી સવારેથી જ ભારે પવન સાથે વરસાદ
તાઉ-તે વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ અનુભવાઈ રહી છે. અમદાવાદ કેટલાય વિસ્તારમાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વેજલપુર, આશ્રમ રોડ, જીવરાજમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એસજી હાઈવે, વસ્ત્રાલ રોડ, નેશનલ હાઈવે પર પણ વરસાદ જોવા મલ્યો છે. વરસાદને લઈને વાહન ચાલકો અને રાહદારીઓએ હાલાકી વેઠવી પડી હતી. વાવાઝોડાની સંભવિત અસરને પગલે સમગ્ર રાજયમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ સાત ઝોનમાં કંટ્રોલરૂમ શરૂ કરાયા છે.
પાલડી ખાતે મુખ્ય કંટ્રોલરૂમ તેમજ ફાયર વિભાગના કંટ્રોલરૂમ પણ કાર્યરત
ઉપરાંત પાલડી ખાતે મુખ્ય કંટ્રોલરૂમ તેમજ ફાયર વિભાગના કંટ્રોલરૂમ પણ કાર્યરત છે. શહેરમાં ર4 કલાકમાં 61 જેટલાં વૃક્ષો ધરાશાયી થયા છે. સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 40 વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 72 જેટલા ભયજનક હોર્ડીંગ્સ અને બેનરો એસ્ટેટ વિભાગ દ્વારા ઉતારી લેવામાં આવ્યા છે. આ અંગે મળતી માહીતી મુજબ,વાવાઝોડાને લઈ મળેલી સુચનાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રવિવાર સાંજથી જ શહેરના તમામ સાત ઝોનમાં કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યા હતા. જે પ્રમાણે અમદાવાદ શહેરમાં વાવાઝોડાની સંભવિત અસર રવિવાર સાંજથી જોવા મળી રહી છે.
અમદાવાદમાં કુલ 61 જેટલા વૃક્ષો ધરાશાયી
આ કારણથી રવિવાર સાંજના છથી સોમવાર સાંજના છ કલાક સુધીમાં અમદાવાદ શહેરના સાત ઝોનના અલગ અલગ વિસ્તારોમાં કુલ મળીને 61 જેટલા વૃક્ષો ધરાશાયી બન્યા છે. સૌથી વધુ 40 વૃક્ષો દક્ષિણ ઝોનના મણિનગર, બહેરામપુરા સહીતના વિસ્તારોમાં ધરાશાયી થવા પામ્યા છે. રાજય ઉપર તોળાઈ રહેલાં વાવાઝોડાના સંકટ અને તેની અમદાવાદ શહેર ઉપર થનારી સંભવિત અસરને ધ્યાનમાં લઈ 17 થી 19 મે દરમ્યાન સાવચેતી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઈમરજન્સી નંબરો જાહેર
ઉપરાંત કોઈપણ પ્રકારની ઈમરજન્સી ઉભી થાય તો એ માટેના નંબરો જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ અફવાઓથી દુર રહી માત્ર સત્તાવાર માહીતી ઉપર વિશ્વાસ રાખવા લોકોને અપીલ કરવામાં આવી છે. આ અંગે મળતી માહીતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત પરિસ્થિતિમાં શહેરીજનોને ઘરના બારી-બારણાં બંધ રાખવા ઉપરાંત ઘરમાં ફાનસ, ટોર્ચ, મીણબત્તી વગેરે જેવા સાધનો હાથવગા રાખવા કહેવામાં આવ્યું છે.
ફર્સ્ટ એઈડ કીટની વ્યવસ્થી કરી રાખવા અપીલ કરાઈ
ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા પણ કરી રાખવા તેમજ ઘરના વડીલો, બાળકો અને બીમાર વ્યકિતઓની સારસંભાળ લેવા તેમજ તેમના માટે પુરતી દવાઓ તથા ફર્સ્ટ એઈડ કીટની વ્યવસ્થી કરી રાખવા અપીલ કરાઈ છે. ઉપરાંત મોટા વૃક્ષ અને ઈલેકટ્રીકના થાંભલાઓ પાસે ઉભા ના રહેવા પણ તાકીદ કરવામાં આવી છે. ઈલેકટ્રીકના છુટા વાયરોને ના અડવા કહેવાયું છે. હાલની કોરોના સંક્રમણની સ્થિતિમાં ગરમ અને હૂંફાળુ પાણી પીવા તથા અફવાઓથી દુર રહી સત્તાવાર માહીતી ઉપર વિશ્વાસ રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
અંદાજે 550 જેટલી હોસ્પિટલોને બે દિવસ ચાલે એટલો ઓકિસજનનો જથ્થો
અમદાવાદ શહેરમાં વાવાઝોડાના પગલે ઉભી થનારી સંભવિત અસરને ધ્યાનમાં લઈ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ આહના સાથે સંકળાયેલી અંદાજે 550 જેટલી હોસ્પિટલોને બે દિવસ ચાલે એટલો ઓકિસજનનો જથ્થો અને જનરેટર તૈયાર રાખવા સુચન કરવામાં આવ્યું હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.