વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-19 તેમજ ડેન્ગ્યુ અને સ્વાઇનફલુ જેવી બિમારીઓમાં ડ્રેગન ફ્રુટ ઈમ્યુનિટી રોગ પ્રતિકાર શકિત વધારવા રામબાણ ઈલાજ મનાય છે અને ખેડૂતો માટે ડ્રેગન ફ્રુટ એટલે સોનાની ખેતી.
પિટાયા-થોર પ્રજાતિનું ફળ એટલે ડ્રેગન ફ્રુટ ભારતમાં અંદાજે રૂ.100 કરોડથી વધારે વેચાણ ધરાવતું ડ્રેગન ફ્રુટ કચ્છમાં અંદાજે 350 એકર જમીનમાં ખેડૂતો પકવી રહયા છે. જિલ્લાના અબડાસા, ગાંધીધામ, માંડવી, અંજાર અને ભચાઉ તાલુકાના ખેડૂતોએ આત્મનિર્ભર બની વિયેતનામથી ભારતમાં સૌથી વધુ આયાત થતા આ ફળને ઘરઆંગણે ઉછેરી મબલખ પાક અને આવક મેળવી રહયા છે.
કચ્છ જિલ્લામાં સફેદ અને લાલ/ગુલાબી પલ્પવાળા ડ્રેગનફ્રુટ ઉગાડવામાં આવે છે જે સીઝનમાં રૂ.300 થી 150 રૂપિયા પ્રતિકિલો વેચાણ થાય છે.
જિલ્લામાં સૌ પ્રથમ નવી થાંભલા વાયર પધ્ધતિનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરી અબડાસા તાલુકાના સંમેડા ગામના ખેડૂત હિતેશ ગોહિલ એટલે કે પુત્ર અને પિતાએ લાલ પલ્પવાળા ડ્રેગનફ્રુટની ખેતીમાં સફળતા મેળવી છે.
15 એકરમાં થાંભલા વાયરની નવી ખેતી પધ્ધતિ બે વર્ષ પહેલા અંદાજે રૂ.6 થી 7 લાખના ખર્ચે પ્રારંભ કરેલી હાલ તેઓ થાંભલા-વાયર રોપા અને અનુકુળ જમીનથી થોર જાતિના આ ડ્રેગનફ્રુટ હાલ કોરોના કોવીડ-19 ના પગલે રૂ.150 થી 200 રૂ.પ્રતિ કિલો વેચાણ રહયા છે. જે પહેલા રૂ.350 પ્રતિકિલો હતું.
‘‘એકવાર ખર્ચો થાય પછી તો જો તમે ખેતી પધ્ધતિનું સ્ટ્રકચર મેન્ટેન કરતા રહો તો ૩૦ થી ૪૦ વર્ષ સુધી ડ્રેગનફ્રુટ મળતા રહે છે. ડ્રેગનફ્રુટની ગુણવતા અને માંગના પગલે આત્મનિર્ભરતાથી ડ્રેગનની ખેતી તરફ વળેલા કચ્છી માડુઓ માટે આ સોનાની ખેતી છે’’ એમ કહે છે ખેડૂત હિતેશ ગોહિલ.
જયારે પિતા પ્રેમજીભાઇ વેલજીભાઇ ગોહિલ જણાવે છે કે, ‘‘જુનથી નવેમ્બર સુધી ઉતરતાં આ એક ફળ 150 થી 800 ગ્રામ સુધીના વજન ધરાવે છે. છાણિયું ખાતર અને 2000 ટીડીએસ મીક્ષ પાણીમાં ફેબ્રુઆરીથી મે મહિના દરમ્યાન એની વાવણી કરેલી છે. અમારે સ્થાનિક ધોરણે જ આનું વેચાણ થાય છે પરંતુ વિકાસશીલ અને ગલ્ફ દેશોમાં આનો નિકાસ થઇ રહયો છે.’’
લોહીમાં રકતકણ, શ્વેતકણ, પ્લેટલેટ અને પ્લાઝમાં મહત્વપૂર્ણ છે. જેમાં પ્લેટલેટ વધારવામાં ડ્રેગનફુટ અકસીર છે. ડેન્ગ્યુ તાવમાં ડોકટરો પણ આ ફળ અચૂક ખાવાનું કહે છે. તો આરોગ્ય અને પ્રકૃતિફળના ફાયદા જાણનાર ઔષધિ વિશેષજ્ઞો ડ્રેગનને મહત્વનું ફળ માને છે.