કોરોના મહામારી વચ્ચે હવે તૌકતે વાવાઝાડોનું મહાસંકટ આવી રહ્યુ છે. આ વાવાઝોડાના લીધે સામાન્ય લોકોથી લઇને કોરોના સંક્રમિત દર્દીઓના જીવન પર મોટું સંકટ સર્જાઇ રહ્યુ છે. વાવાઝોડાના લીધે ભારે વરસાદ અને ઝડપી પવન ફુંકાવાની આશંકા છે. જેના પરિણામે વિજ પુરવઠાની સપ્લાય ખોરવાઇ જવાની શક્યતા છે. તેના પરિણામે હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા અને વેન્ટિલેટર્સ ઉપર રહેલા કોરોના સંક્રમિત દર્દીઓનો જીવ જોખમમાં મુકાઇ શકે છે.
અલબત્ત સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અગમચેતીના ભાગરૂપ કેટલાંક પગલાંઓ લીધા છે.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે 661 ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે. જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. પાવર બ્રેકઅપની 750 જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી 400થી વધુ પ્રશ્નોનું નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. એ જ રીતે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે 388 આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગીરી માટે 319 મહેસુલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે. રાજયમાં કોવીડની સ્થિતિની પહોંચી વળવા માટે 1383 પાવરબેક અપ રાખવામાં આવ્યા છે.એટલું નહીં આ વિસ્તારોમા નાગરિકોને આકસ્મિક સારવાર પૂરી પાડવા માટે 161 ICU એબ્યુલન્સ અને 576-108 એબ્યુલન્સ ઉપલબ્ધ કરીને સ્ટેન્ડ બાય કરી દેવાઈ છૈ. કોવિડ ની સારવાર લઈ રહેલા દર્દીઓની ઓક્સિઝન જરૂરીયાતને પહોંચી વળવા માટે તથા ઓક્સિજનનું સરળતાથી વહન થાય તે માટે 35 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રનાં સાગરકાંઠા તરફ તૌક – તે વાવાઝોડુ તેજ ગતિએ આગળ ધસી રહયુ છે ત્યારે ભારે વરસાદ અને પવનને કારણે ઉભી થનારી સ્થિતીને પહોંચી વળવા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર – કચ્છનાં ૧ર જિલ્લાઓમાં કાર્યરત ૩૯૧ કોવિડ હોસ્પિટલ અને અસરગ્રસ્ત ક્ષેત્રમાં આવેલા ૪૧ ઓકિસજન પ્લાન્ટમાં વીજ વિક્ષેપ ઉભો ન થાય તે માટે વીજ તંત્ર સજજ બન્યુ છે. પીજીવીસીએલની ર૯૧ અને તેની સાથે જોડાયેલા કોન્ટા્રકટરોની ર૯૪ મળીને પ૮પ ટીમો ખડેપગે રાખવામાં આવી છે.
રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો
પીજીવીસીએ કચેરીમાં રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યો છે. ભૂતકાળનાં વાવાઝોડાની કામગીરીનાં અનુભવોને ધ્યાનમાં લઈને વીજ પોલ ૧ લાખ, રપ હજાર કંડકટર, ર૦ હજાર ટ્રાસ્ફોર્મર, ૪૦૦ કી.મી.નો એલ ટી કેબલ, ડીજી જનરેટર સેટ, સબ સ્ટેશનોમાં પાણી ભરાય તો તેવી સ્થિતિમાં વોટર પમ્પ તૈયાર રખાયા છે.
આ સાધનો વેરાવળ, સોમનાથ, ઉના, મહુવા, દ્રારકા, ખંભાળીયા, નલીયા, ગાંધીધામ, મુંદ્રા સહિતનાં સબ સ્ટેશનો ખાતે પહોંચવામાં આવી રહયા છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે આજે રાજકોટ પીજીવીસીએલ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ જણાંવ્યુ હતું કે તૌક તે વાવાઝોડાની સંભવિત અસરો જ્યાં ઉભી થશે તેવા વિસ્તારોને અલગ તારવીને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા વીજ તંત્ર સજ્જ છે. કાંઠાળ વિસ્તારોમાં ડીજી સેટ સહિતના સાધનો પહોંચાડવામાં આવી રહયા છે.