દિવમાં બિઝનેસ ટાયકૂન તરીકે ખ્યાતિ મેળવેલ અને હાલમાં હોટેલ એસોસિયેશનનાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા ફુગરો પરિવાર નાં એક પછી એક અનઅધિકૃત વ્યવહારો પ્રકાશમાં આવી રહેલ છે. છેલ્લાં ત્રણ માસ માં ધી દમણ – દિવ સ્ટેટ કો.ઓ.બેંક લિમિટેડ માંથી ખોટી રીતે અને ખોટાં દસ્તાવેજો નાં આધારે મોટી રકમ નાં ધિરાણો મેળવવા, મિલકતોનાં ખોટાં વ્યવહારો બતાવવા, ક્લાસ ટુ વાળી મિલ્કતો જરૂરી મંજુરી વિના પોતાનાં નામો પર તબદીલ કરાવી લેવી, વિભિન્ન સર્વે નંબર નાં ખોટી રીતે અમલગેશન, બિનખેતીની મંજુરીઓ તેમજ બાંધકામની મંજુરીઓમાં આપવામાં આવેલ નિયમો અને શરતોનો ભંગ,લિકરનું ઉત્પાદન કર્યા વિના એ અંગેનાં પરવાના મેળવવા વિગેરે જેવા અસંખ્ય કિસ્સાઓ અત્યાર સુધી પ્રકાશમાં આવેલ છે.
વધુ માં હવે આવો જ એક નવો કિસ્સો પ્રકાશ માં આવેલ છે જે મુજબ મેસર્સ કલ્પના ડીસ્ટેલરી નામની ભાગીદારી પેઢી નાં ભાગીદારો કિશોરીબહેન તેમજ નવીનચંદ્ર ગાંધી દ્વારા “તિટુલો” વાળી ખરીદ કરેલ પી.ટી.એસ. નંબર ૧૦૯/૩ વાળી ૧૨૭૮૩ ચો.મીટર વાળી જમીન હોટેલ કોહિનૂર ને રજિસ્ટર્ડ લીઝ નોંધણી ક્રમાંક ૭૫/૧૯૯૬ થી પચ્ચીસ (૨૫) વર્ષ માટે ફેબ્રુઆરી ૧૯૯૬ માં લીઝ પર આપેલ હતી. જે લીઝ ની મુદત ૨૮/૦૨/૨૦૨૧ નાં રોજ પૂરી થઈ છે. હવે જોવાનું એ રહે છે કે આ લીઝ પૂરું થઈ ગયું છે એ મિલકત પર પ્રશાસન દ્વારા આપવામાં આવેલ વિવિધ મંજૂરીઓ બાબતે પ્રશાસન આગળ શું કાર્યવાહી કરે છે. અને સૂત્રો દ્વારા જાણવા મળેલ હકીકત મુજબ આ મિલ્કત ઉપર ધી દમણ – દિવ સ્ટેટ કો.ઓ.બેંક લિમિટેડ દ્વારા ધિરાણ પણ આપવામાં આવેલ છે.
નવીનચંદ્ર ગાંધી દ્વારા આપવામાં આવેલ કુલમુખત્યારપત્રનો ઉપયોગ કરી કરાવીને અત્યાર સુધી તમામ કાર્યવાહીઓ મનફાવે તેવી રીતે આ બિઝનેસ ટાયકૂન પરિવાર દ્વારા કરવામાં આવેલ છે, જોવાની હકીકત એ છે કે દિવ માં લાગુ ફેમિલી લો નાં તમામ કાયદાનું દરેક વ્યવહાર માં ઉલ્લંઘન કરેલ છે અને કિશોરીબહેન ફુગરો તેમજ નવીનચંદ્ર ગાંધી એમ આ બંને ભાગીદારોની બાબત માં “સ્થાનિક ફેમિલી લો” લાગુ પડતો હોવા છતાં તેઓનાં બેટર – હાફની સંમતિ વિના મિલ્કત તબદીલીનાં તેમજ ધિરાણો મેળવવા અંગેનાં દસ્તાવેજો નોંધાયેલા હોવાનું જાણમાં આવેલ છે. વર્તમાન સ્થિતિ જોતાં નવીનચંદ્ર ગાંધીનું અવસાન થઈ ગયેલ છે, આ કારણસર એમનાં દ્વારા આપવામાં આવેલ તમામ કુલમુખત્યારપત્ર જેવાં લખાણો રદ્દ ને પાત્ર છે તેવાં સંજોગો માં કોહિનૂર હોટેલ ની તરફેણ માં કરવામાં આવેલ લીઝ રીન્યુ થયેલ નથી અને એનાં આધારે આપવામાં આવેલ તમામ મંજૂરીઓ બાબતે અને બેંકનાં ધિરાણોની બાબતોમાં આગળ શું થાય છે તે હવે દિવની પ્રજાએ જોવાનું રહે છે. દિવની સામાન્ય પ્રજા સાથે અમુક પ્રશાસનિક અધિકારીઓ દ્વારા જે કડક વલણ અપનાવવામાં આવે છે તેવું વલણ આ કહેવાતાં બિઝનેસ ટાયકૂન વ્યકિતઓ બાબતે લેવાય છે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે.