આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અલારસા ગામના અભેટાપુરા સ્થિત તળાવમાં થઈ રહેલા માટી ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ નીકળતા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહયા છે અને શિવલિંગની પ્રતિકૃતિના દર્શન કરવા ભીડ એકત્ર થતા મામલતદાર અને પોલીસ પણ સ્થળ પર દોડી ગયા હતા.
આ અંગે પુરાતત્વ વિભાગ દ્વારા તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે,હાલમાં અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું માટી ખોદકામ દરમિયાન ડાબી સાઇડે નીકળેલ કૃતિ પરથી વરસાદનું પાણી વહેતા શિવલિંગ જેવી કૃતિ જેવો આકાર જોવા મળ્યો હતો.
શનિવારે ગામના લોકો તળાવ ખાતે ભેગા થયા હતા અને તપાસ કરતા જૂની કાળી માટીનો લેપ કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું અને તેનો આકાર શિવલિંગ જેવો દેખાતો હતો. આ વાતની જાણ આજુબાજુના ગામોમાં વાયુવેગે ફરી વળતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતા.