રાજ્યમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં વાવાઝોડું ત્રાટકવાનું નક્કી હોય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગોતરા આયોજન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની જવાબદારી વરિષ્ઠ મંત્રીઓને સોંપી સતત નજર રાખવા જણાવી દીધું છે.
જે મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેમાં કચ્છ જિલ્લાની જવાબદારી ઋષિકેશ પટેલને જ્યારે પોરબંદરની જવાબદારી કુંવરજી બાવળિયા, જામનગરની મૂળુભાઈ બેરા, દેવભૂમિ દ્વારકાની હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લાની જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ જિલ્લાની જવાબદારી પુરુષોત્તમ સોલંકીને સોંપવામાં આવી છે.
આ મંત્રીઓને તાત્કાલિક ગ્રાઉન્ડ પર પહોંચવાની સૂચના આપવામાં આવી છે.
15 જૂન પહેલા 6 જિલ્લામાં શેલ્ટર હોમ બનાવી બીચથી 5થી 10 કિમીના વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા સહિતની બચાવ કામગીરી ઉપર તંત્ર સાથે સંકલન રાખી ધ્યાન આપવા જણાવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે 12 જૂને ઈમરજન્સી બેઠક યોજી મુખ્યમંત્રી, ગૃહમંત્રાલય, એનડીઆરએફ અને સેનાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. ગૃહ પ્રધાન અમિત શાહ આજે 13 જૂને દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના પ્રધાનો સાથે બેઠક કરી વાવાઝોડા મામલે ચર્ચા કરશે અને તમામ તૈયારીઓ અને બચાવ કામગીરી માટે એક્શન પ્લાનની વિગતો જાણશે અને સૂચના આપશે