હાલ મોંઘવારીમાં સ્કૂલમાં બાળકોને ભણાવવા ખુબજ મોંઘા થયા છે,કોઈપણ સારી કહેવાતી સ્કૂલમાં એડમિશન હોવાછતાં સ્કૂલમાં બાળક પૂરતું સારું શિક્ષણ મેળવી શકતું નથી એટલે ટ્યુશન રાખવું પડે છે તે હકીકત છે આવી શાળાઓ ચોક્કસ દુકાનમાંથીજ ડ્રેસ સહિતની વસ્તુઓ ખરીદવા વાલીઓને ફરજ પાડતા હોય છે તેવે સમયે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની જે નોન-ગ્રાન્ટેડ ખાનગી સ્કૂલો વિદ્યાર્થીઓને સ્કૂલ ડ્રેસ, પુસ્તકો કે સ્ટેશનરી કોઈ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી ખરીદવા દબાણ કરશે તો તેવી સ્કૂલો સામે દંડનીય કાર્યવાહી કરવા સજ્જ બન્યું છે.
શિક્ષણ મંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે. એટલું જ નહિ, અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પહેલી વખતમાં રૂ. 10 હજાર રૂપિયાનો દંડ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ,વાલીઓને ચોક્કસ જગ્યાએજ ખરીદી કરવા ફરજ પાડતી સ્કૂલો સામે કડક કાર્યવાહી કરવા તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને એક જ દુકાન કે સંસ્થામાંથી યુનિફોર્મ-પુસ્તકો ખરીદવા દબાણ કરતી સ્કૂલો સામે માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.