રાજ્યમાં ભ્રષ્ટાચારની વારંવાર પોલ ખોલનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉપર પોલીસ કાર્યવાહી શરૂ થતાં તેના ઘેરા પ્રત્યાઘાતો ઉઠવા પામ્યા છે આ મામલે વિપક્ષ દ્વારા પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે ત્યારે આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશાધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આ સમગ્ર કાર્યવાહીની ટીકા અને આક્ષેપ કરતા કહ્યું કે, “રાજ્યમાં 156 બેઠકો મેળવનાર સરકારની આ પહેલી ગિફ્ટ છે, યુવરાજસિંહને જેલમાં નાખી દેવાય અને દબાવી દેવામાં આવે જેથી આગામી સમયમાં ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર જાહેર કરતા પહેલાં સો વાર વિચાર કરે, સરકારની એક ગિફ્ટ છે. ભાજપે પ્રથમ ગિફ્ટ આપી છે.”
“જો આ મામલામાં તટસ્થ કાર્યવાહી કરવી હોય તો જે મંત્રીઓ ઉપર આક્ષેપ છે તેમની કેમ ધરપકડ થતી નથી?
ધરપકડ તો દૂર પણ આ મોટા નેતાલોકોની તો પૂછપરછ પણ નથી કરાઈ.
યુવરાજસિંહ સામે આ મામલો ઊભો કરવા માટે રાજકીય ઇશારે કારસો રચાઈ રહ્યો હોય તેવી આશંકા તેઓએ વ્યક્ત કરી આ સમગ્ર મામલાની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં રચેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ પાસેથી કરાવવા તેઓએ જણાવ્યું હતું.
બીજી તરફ કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાનું પણ આવુજ કહેવું છે કે “ડમી પરીક્ષાર્થી કાંડના એક આરોપીના નિવેદનને આધારે યુવરાજસિંહ અને અન્યોની ધરપકડ કરાઈ પરંતુ આ કાંડ પાછળ જવાબદાર લોકોને પોલીસ હજુ સુધી પકડી શકી નથી,આ મામલે રાજ્યના ભૂતપૂર્વ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની કેમ પૂછપરછ નથી કરાઈ? ગૌણ સેવા પસંદગી મંડળના ભૂતપૂર્વ અધ્યક્ષ અસિત વોરાની પણ પૂછપરછ કેમ ક્યારેય કરાઈ નથી?” તેવા સીધા સવાલ કર્યા હતા.
મહત્વનું છે કે યુવરાજસિંહે તેમની ધરપકડ અગાઉ રાજ્યના મંત્રીની સંડોવણી હોવાના આરોપ લગાવ્યા હતા પણ તે મામલે કાર્યવાહી થઈ નથી.
યુવરાજસિંહે ભરતીપ્રક્રિયામાં ચાલતા કૌભાંડો અંગે તેમની પાસે ઘણી માહિતી હોવાની તેમજ પોતાના જીવ પર ખતરો હોવાની વાત પણ કરી ચુક્યા છે ત્યારે આ મામલો હવે પેચીદો બની રહ્યો છે.