તોડકાંડ પ્રકરણમાં યુવરાજસિંહ જાડેજાએ જામીન અરજી કરતા તેની સુનાવણી સોમવારે હાથ ધરાનાર છે. સોમવારે જામીન અરજીમાં તપાસ અધિકારી દ્વારા સોગંદનામુ પણ રજૂ કરવામાં આવશે.
યુવરાજસિંહે કરેલી જામીન અરજીમાં તેઓને રાજકીય કિન્નાખોરી રાખીને કેસમાં ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા હોવાનું કહી પોતે નિર્દોષ હોવાનું જણાવાયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ડમીકાંડનો પર્દાફાશ થયા બાદ રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને જે તે સમયે સરકાર પણ બચાવની ભૂમિકામાં આવી ગઇ હતી,બાદમાં ડમીકાંડ પ્રકરણમાં 61થી વધુ આરોપીઓની ધરપકડ થઈ હતી જે તપાસ દરમિયાન યુવરાજસિંહ જાડેજાએ ડમીકાંડના કેટલાક વ્યક્તિઓના નામ જાહેર ન કરવાની શરતે માતબર રકમ લીધી હોવાની વાત સામે આવ્યા બાદ તેઓ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે યુવરાજસિંહ જાડેજા સહિત તેમના બે સાળાઓની પણ ધરપકડ કરી હતી.
જોકે, બાદમાં યુવરાજસિંહ સિવાયના તમામ આરોપીઓ જામીન પર મુક્ત થયા છે ત્યારે યુવરાજસિંહ જાડેજાએ પણ જામીન અરજી કરતા તેની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવશે.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ યુવરાજસિંહે કોર્ટમાં કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે, તેઓ નિર્દોષ છે. તેમને રાજકીયા કિન્નાખોરી રાખીને કેસમાં ફસાવી દેવામાં આવ્યાં છે.
આ કેસમાં સંડોવાયેલા અન્ય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં છે અને તેમને પણ જામીન પર મુક્ત કરવા જોઇએ. જામીન અરજી અંગે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓ જામીન અરજીમાં સોમવારે સોગંદનામુ રજૂ કરશે. જ્યારે સરકારી વકીલના જણાવ્યા પ્રમાણે સોમવારે જામીન અરજીની સુનાવણી થશે.