રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે આગામી 24 કલાક દરમિયાન ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી તેમજ સૌરાષ્ટ્રના સોમનાથ અને અમરેલીમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સિવાય સુરત, તાપી, નવસારી, ડાંગ, સોમનાથ, અમરેલી, ભાવનગર, રૂરલ અમદાવાદ, ખેડા, આણંદમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
સુરતની મિંઢોળા નદીમાં પુર આવતા આસપાસના તમામ વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે. વ્યારા હાઇવેનો બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે.
બારડોલી પંથકમાં ભારે વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયા છે.
છોટાઉદેપુરનું બોડેલી પણ જળમગ્ન બન્યું છે.
ભારે વરસાદને કારણે ઓરસંગ ઉપરાંત ઢાઢર નદીમાં પૂર આવતા વડોદરા જિલ્લાનાં 39 ગામને એલર્ટ કરાયા છે.
કરજણ તાલુકાના મેથી, સામરી, શામળ, કંથારિયા, રાનપુર, કોઠાવ, ગણપતપુરા અને ધનોરા ગામોમાં પાણી ફરી વળ્યાં છે.
મેથી, સામરી, શામળ, કંથારિયા, રાનપુર, કોઠાવ, ગણપતપુરા અને ધનોરા ગામ સહિતનાં ગામો જળ બંબાકાર બન્યા છે.
મેથી ગામની નવીનગરીનાં 25 જેટલાં મકાનમાં પાણી ઘૂસી નવીનગરી બેટમાં ફેરવાઇ ગઈ છે.
સામરી ગામ તરફ જતા માર્ગ પર પાણી ભરાઇ જતા શામળ અને કંથારિયા ગામથી સંપર્કવિહોણું થઇ ગયું હતું.
મેથી અને કોઠાવ વચ્ચેના માર્ગ પર પણ પાણી ફરી વળ્યાં હતા.
સીમડી અને રાનપુર ગામની વચ્ચેના રસ્તા પર પણ પાણી ભરાયા છે.
ગણપતપુરાના રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતાં ગણપતપુરા અને ધનોરા ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે.
અતિભારે વરસાદના પરિણામે નવસારી જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાયા છે. વહીવટીતંત્ર દ્વારા ફસાયેલા નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં
આવી રહ્યું છે.
લોકોને આશ્રયસ્થાનોમાં લવાઇ રહયા છે જ્યાં મેડીકલ ટીમ તથા ભોજન સહિતની પુરતી વ્યવસ્થાઓ પુરી પાડવામાં આવી રહી છે . આશ્રયસ્થાનોમાં આશ્રિતોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે વહીવટીતંત્ર ખડેપગે કામગીરી કરી રહી છે.
રાજ્યમાં ભારે વરસાદની અગાહીને લઈ તંત્ર એલર્ટ બન્યું છે.
વલસાડમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઔરંગા નદી સહિત જિલ્લાની તમામ નદીઓ ભય જનક સપાટીએ વહી રહી છે.
વહીવટી તંત્ર દ્વારા કાશ્મીર નગર અને બરૂડિયાવાડ સહિત નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.