રાજ્ય માં ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કૌભાંડ મુદ્દે ગાંધીનગરમાં આપ દ્વારા થયેલા વિરોધપ્રદર્શન મામલે 6 આગેવાન સહિત 70 જેટલા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. આજે આમ આદમી પાર્ટી ધરપકડ મામલે વધુ ઉગ્ર બને એ પહેલાં અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી AAPના મોટા નેતાઓની અટકાયત શરૂ થતા સોંપો પડી ગયો છે.
આ બધા વચ્ચે ‘આપ’ના નેતાઓને છોડાવવા જતા વકીલની પણ પોલીસે અટકાયત કરી લીધી છે. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા જયેન્દ્ર આભવેકર આજે ગોપાલ ઇટલિયાના જામીન માટે ગાંધીનગર જવા માટે નીકળ્યા ત્યારે સ્થાનિક પોલીસે તેમને ડિટેઇન કરી લીધા હતા. વકીલ દ્વારા જામીન માટેના કાગળ તૈયાર કરી લેવામાં આવ્યા છે, પણ તેમને ડિટેઇન કરતાં હવે AAPના કાર્યકરોના વકીલ મળવા મામલે પણ સવાલો ઉઠ્યા છે.
AAPના નેતાઓ સામે પોલીસ દ્વારા અલગ અલગ કુલ 18 જેટલી કલમો લગાડી તેમની સામે ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આમ આદમી પાર્ટીના નેતાઓ ના જણાવ્યા મુજબ હવે પોલીસ પર જ અમને ભરોસો નથી, જેથી હવે સીસીટીવી ફૂટેજ અને મીડિયા ફૂટેજના પુરાવા સહિત અમે આ મામલે કોર્ટમાં ફરિયાદ દાખલ કરીશું.
Thursday, May 16