આખરે રાજ્ય સરકારે બુધવારે મધરાતથી રાજ્યના 20 શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરી દીધો છે. આમ, હવે લગભગ આખા ગુજરાતના શહેરી વિસ્તારોમાં રાત્રિ કર્ફ્યુ લાગી કરી દેવાયો છે.
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ રાજ્યમાં આંશિક લોકડાઉન લાગુ કરવાના નિર્ણય બાબતે રાજ્યની કોર કમિટિની સાંજે બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મામલે મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનતા નવી સ્ટ્રેટેજી શું રાખવી તે બાબતે પણ અમિત શાહ સાથે રુપાણી અને નીતિન પટેલ વાતચીત કરી હોવાનું મનાય છે.
કોર કમિટી બેઠક પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. તો મોટા મેળાવડાઓ પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લાદ્યો હતો
લગ્ન પ્રસંગોને લઈને નિવેદન આપતા જણાવ્યું હતું કે, લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી આપવામાં આવશે. 30 એપ્રિલ સુધી સરકારી કચેરીમાં શનિ-રવિ રજા જાહેર કરવામાં આવી છે.
20 શહેરોમાં રાત્રિ કર્રફ્યૂની જાહેરાત કરવામાં આવી તેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીનો સમાવેશ થાય છે.