૧૪ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અને પંચાયતના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આજે અમરેલી જિલ્લા પંચાયતનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું હતું. આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજ્યના છેવાડાના માનવી સુધી સરકારની દરેક યોજના પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. ગામડામાં ગામડાની સરકાર અને જિલ્લા પંચાયત એટલે ગામનું સચિવાલય કે જ્યાં સરકારની તમામ યોજનાઓનું અમલીકરણ થાય છે.
આમ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું ત્રિસ્તરીય માળખું છેવાડાના માનવી સુધી બધી સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં મદદરૂપ થાય છે. શિક્ષણ, સિંચાઈ, રોડ રસ્તા, પાણી, આરોગ્ય, ખેતીવાડી વગેરે જેવી સેવાઓ માટે પંચાયતી રાજ દ્વારા ઉત્તમ કાર્ય થઇ રહ્યું છે. ગુજરાતમાં પંચાયતી રાજ અને સહકારી સંસ્થાઓમાં નાગરિકોને પંચાયતો દ્વારા ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. વધુમાં એમણે ઉમેર્યું હતું કે, આજે પંચાયતોના નવા મકાનોનું નવું વાતાવરણ અધિકારીઓ અને કર્મચારીઓમાં નવી ઉર્જા બની વધુ માં વધુ લોકસેવાના કર્યો કરવા પ્રેરણા આપશે.
મુખ્યમંત્રીશ્રીએ નવા ભવનોનો સદુપયોગ થાય અને પંચાયતમાં આવતા અરજદારો શાંતિ અને વિશ્વાસથી પોતાનું કાર્ય સુપેરે પર પડશે એવી આશા લઈને સ્મિત સાથે જાય એવી શુભકામનાઓ પાઠવી હતી. ડો. જીવરાજ મહેતાને યાદ કરતા એમને જણાવ્યું હતું કે અમારું સદભાગ્ય છે કે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા અમરેલીના હતા.
અને એમણે પોતાનું જીવન લોકસમર્પિત કર્યું હતું. આજે એમના જ શહેરમાં જિલ્લા પંચાયતના નવા મકાનનું લોકાર્પણ થઇ રહ્યું છે એ અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસમાં તેમજ જિલ્લાના નાગરિકોની સુખાકારી માટે ખુબ જ ફળદાયી નીવડશે એવી શુભેછાઓ પણ પાઠવી હતી. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત રાજ્ય હંમેશા આપત્તિને અવસરમાં પલટાવવા સક્ષમ છે. કોરોના મહામારી વચ્ચે પણ આપણી રોજીંદી પ્રવૃતિઓ ધમધમતી રાખવાની છે. રાજ્યમાં મોટાભાગના વિકાસના કામો પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારની નેમ રહી છે કે, વિકાસના કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત થાય, જેની પ્રતિતી આજે થઈ રહી છે.
કોરોનાને લડત આપી આપણી વિકાસની યાત્રા ચાલુ રાખી છે તેમ જણાવી રાજ્યની જનતાને સુંદર સુવિધા વાળા પંચાયતના સુવિધાસભર ભવનો ખુલ્લા મુકવામાં આવ્યા છે. પંચાયતના રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે એમણે સમગ્ર રાજ્યની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોના નવા મકાનોના નિર્માણ માટે ચિંતા કરી છે. પંચાયતની મહેસુલ, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, સહકાર, સિંચાઈ, બાંધકામ, સમાજ કલ્યાણ જેવી વિવિધ શાખાની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા પંચાયતના આ નવા મકાનો ખુબ જ મદદરૂપ નીવડશે. પંચાયતના અધિકારીઓ-પદાધિકારીઓ, કર્મચારીઓને નવું વાતાવરણ મળી રહે તેમજ નાગરિકો માટે આ નવા ભવનો પ્રગતિ લાવે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.