આજકાલ હાર્ટ એટેકથી મોત થવાની ઘટનાઓ વધી છે ત્યારે વડનગર પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા કર્મચારીનું નિવૃત્તિ થયાના માત્ર 4 જ દિવસમાં હાર્ટ એટેકથી નિધન થતાં પોલીસબેડામાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
હજુ તો 30 મી એ વડનગર પોલીસ મથકમાંથી માનભેર વિદાય અપાઇ હતી.ત્યાં જ તા.4 જુલાઈએ મંગળવારે તેમના નિધનના સમાચાર સાંભળી પોલીસ મથકમાં ફરજ બજાવતા તમામ સ્ટાફની આંખો ભીની થઈ હતી.
વડનગર પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા અમરતભાઈ પુંજાભાઈ પરમાર 30 જૂનના રોજ નિવૃત થતાં તેઓને સ્ટાફ દ્વારા માનભેર વિદાય આપી સ્વસ્થ જીવન જીવવા શુભેચ્છાઓ અપાઈ હતી.
એટલુંજ નહિ પણ વજાપુર ગામમાં એએસઆઈનો ગ્રામજનો દ્વારા ખુલ્લીજીપમાં વરઘોડો કાઢ્યો હતો.
જોકે હજુ તો નિવૃત્ત જીવનની શરૂઆત કરે તે પહેલાં જ નિવૃત્તિના ચોથા દિવસે મંગળવારે એટેક આવતાં તેમનું નિધન થતા પોલીસ પરિવાર સહિત ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.