રાજ્યમાંથી વાવઝોડું પસાર થયા બાદ તેની અસર હેઠળ કેટલાક વિસ્તારમાં આગાહી મુજબ ભારે વરસાદ પડ્યો છે, છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ તેમજ પાલનપુર-દાંતીવાડામાં 6-6 ઈંચ વરસાદ ખાબકતા નદીઓ બે કાંઠે થતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર બન્યા છે.
અમીરગઢના વીરમપુરથી ભાટવાસની હદમાં આવેલા ચનવાયા ગામના રોડનું નાળું તૂટી જતાં ત્રણ ગામો સંર્પક વિહોણા બન્યાં હતા,ભારે વરસાદને પગલે ધાનેરાના આલવાડા ગામના વહેણમાં 8 લોકો ફસાયા હતા. જેમાંથી 7 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એકનું મોત થયું છે અને મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ધાનેરાના જોડિયા ગામમાં પાણી ઘૂસતા 15થી વધુ પશુનાં કરૂણ મોત થયાના અહેવાલો છે.
ધાનેરાના જડિયા ગામમાં અનેક મકાનો અને તબેલાઓ તૂટ્યા હોવાના અહેવાલો છે અને 15થી વધુ પશુઓનાં મોત થયાં છે.
જડિયા સરકારી હોસ્પિટલ અને શાળાની દીવાલો ધરાશાયી થઈ છે. જડિયા ગામમાં ગોશાળામાં પાણી ઘૂસતા ગૌશાળાની તમામ દીવાલો ધરાશાયી થઈ ગઈ છે.
ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસતા જડિયા ચારડા સહિતનાં ગામોમાં ભારે નુકસાન થતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચીછે.
જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સાથે જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનાઓ ધાનેરા દોડી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ભારે વરસાદના પગલે ધાનેરાના આલવાડા ગામના વહેણમાં વહેણમાં ઈકો ગાડીમાં 4 લોકો અને બોલેરો ગાડીમાં 4 લોકો ફસાઈ ગયા હતા. જેની NDRFની ટીમને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ગ્રામજનો અને NDRFની ટીમની મદદથી 7 લોકોનું રેસ્ક્યૂ કરી બચાવવામાં આવ્યા છે. જ્યારે ઈકો ગાડીના ડ્રાઇવરનું ડૂબી જતાં મોત થયું છે જેનો શોધખોળ દરમિયાન ગુમ થયેલા ડ્રાઈવરનો મૃતદેહ મળી આવ્યો હતો.
જ્યારે ધાનેરા તાલુકાના મોટી ડુગડોલ નજીક પાણીના ભારે વહેણમાં રેલ પટરી ધોવાઈ જતા રેલ સેવા પર અસર થઈ છે.
ભારે વરસાદને પગલે આ વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે.